

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલા મુખ્યમંત્રી કાર્યાલય અને કલેક્ટર કચેરીને બે દિવસ અગાઉ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મળ્યો હતો. જેને લઇને પોલીસ બેડામાં ભારે ખળભળાટ સાથે દોડધામ મચી ગઇ છે. ધમકીભર્યો ઈ-મેઈલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે અને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ કશું મળી આવ્યું ન હતું. આ ઘટનાને પગલે ગાંધીનગર સહિત રાજ્યભરમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત વિવિધ સુરત, વડોદરા અને વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈ-મેઈલ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય અને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યા ઈ-મેઈલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિર બાદ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ટાર્ગેટ બનાવવામાં આવશે.
આ ગંભીર ધમકી મળતાની સાથે જ રાજ્યનું ગૃહ વિભાગ, પોલીસ વિભાગ અને અન્ય સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. મુખ્યમંત્રી કાર્યાલય અને કલેક્ટર કચેરી સહિત સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઈ-મેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો? આ ધમકી પાછળ કોનો હાથ છે? તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ ટીમ પણ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર સરકારી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. લોકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા લોકોને શાંતિ જાળવવા અને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે.