સતીશ પટેલે કોંગી ઉમેદવાર ભીખા રબારીને 30630 મતોથી હરાવ્યા

વડોદરા: માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થતાં ભાજપે ફરી એકવાર પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. ભાજપના ઉમેદવાર સતીશ ગોવિંદભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 30,630 મતોથી પરાજય આપ્યો છે.
ચૂંટણી પરિણામ મુજબ સતીશ પટેલને કુલ 55,481 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 24,851 મત મળ્યા. મતગણતરીની શરૂઆતથી જ ભાજપે સ્પષ્ટ લીડ જાળવી રાખી હતી. જીતની જાહેરાત થતાં ભાજપના કાર્યકરોએ ગરબા રમી અને મીઠાઈ વહેંચીને વિજયની ઉજવણી કરી. વિજય બાદ સતીશ પટેલ દિવંગત યોગેશ પટેલના નિવાસસ્થાને પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી.
માંજલપુર બેઠક ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી યોગેશ પટેલના અવસાન બાદ ખાલી પડી હતી. તેના કારણે 30 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીમાં 260 મતદાન મથકો પર કુલ 37.5 ટકા મતદાન નોંધાયું હતું.
આ ચૂંટણીમાં ભાજપ તરફથી પૂર્વ કોર્પોરેટર સતીશ ગોવિંદભાઈ પટેલ અને કોંગ્રેસ તરફથી પૂર્વ મંત્રી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ભીખાભાઈ રબારી વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી.
માંજલપુર બેઠક લાંબા સમયથી ભાજપનો મજબૂત ગઢ રહી છે. દિવંગત યોગેશ પટેલે 1990થી 2007 દરમિયાન રાવપુરા બેઠક પરથી પાંચ વખત જીત મેળવી હતી. ત્યારબાદ નવા સીમાંકન બાદ બનેલી માંજલપુર બેઠક પરથી તેમણે 2008, 2012, 2017 અને 2022ની ચૂંટણીમાં સતત વિજય મેળવ્યો હતો. તેઓ કુલ 36 વર્ષ સુધી સતત આઠ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.