તમિલનાડુમાં રાજકીય વિવાદ: ત્રિશા મુદ્દે ટિપ્પણી બાદ ઉદયનીધી સ્ટાલિનની ધરપકડ, હાઈકોર્ટથી જામીન

ચેન્નાઈ: તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજય અને ડીએમકેના નેતા ઉદયનીધી સ્ટાલિન વચ્ચે અભિનેત્રી ત્રિશા કૃષ્ણનને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. એક જાહેર સભામાં ઉદયનીધી સ્ટાલિન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ સત્તાધારી પક્ષે તેને મહિલાનું અપમાન ગણાવી વિરોધ નોંધાવ્યો હતો.
મુખ્યમંત્રી વિજયના નિર્દેશ બાદ ઉદયનીધી સ્ટાલિન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. સાથે જ રાષ્ટ્રીય મહિલા પંચમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. જોકે, સ્ટાલિને હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરતા અદાલતે તેમને જામીન મંજૂર કર્યા હતા.
અહેવાલો મુજબ, આ સમગ્ર વિવાદની શરૂઆત કાવેરી નદીના પાણીના મુદ્દે યોજાયેલી એક જાહેર સભા દરમિયાન થઈ હતી. સભામાં ઉપસ્થિત કેટલાક લોકોએ અભિનેત્રી ત્રિશાનું નામ બોલાવ્યું હતું. ત્યારબાદ ઉદયનીધી સ્ટાલિને કરેલી ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સત્તાધારી ટીવીકેના નેતાઓએ આરોપ લગાવ્યો કે આ નિવેદન મહિલાનું અપમાન કરનારું હતું.
બીજી તરફ, ઉદયનીધી સ્ટાલિને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમણે કોઈ વ્યક્તિનું નામ લીધું નથી અને તેમનું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમણે સરકાર પર ખેડૂતોના પ્રશ્નોને અવગણીને રાજકીય મુદ્દાને વધુ મહત્વ આપવાનો પણ આરોપ લગાવ્યો.
આ કેસમાં ઉદયનીધી સ્ટાલિન સામે અત્યાર સુધીમાં છ ફરિયાદો નોંધાઈ હોવાનું જણાવવામાં આવે છે. તેમની ધરપકડ બાદ ડીએમકે સમર્થકોએ વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. હાલ તેઓ હાઈકોર્ટના આદેશ બાદ જામીન પર મુક્ત છે, જ્યારે સમગ્ર ઘટનાને લઈને તમિલનાડુનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.