રામોલ વિસ્ફોટ બાદ સીલ કરાયેલી ફટાકડાની દુકાનો બોન્ડ લઈને ફરી ખોલાશે

રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 12 લોકોના મોત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતી ફટાકડાની દુકાનો અને ગોડાઉનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં કુલ 60 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી.
હવે ટાઉન પ્લાનિંગ (TP) કમિટીની બેઠકમાં સીલ કરાયેલી ફટાકડાની દુકાનોને શરતો સાથે ફરી ખોલવાની સૂચના આપવામાં આવી છે. વેપારીઓ પાસેથી રિટેઇલ કાઉન્ટર બોન્ડ લેવામાં આવશે અને નિયમ મુજબ નિર્ધારિત પ્રમાણમાં જ ફટાકડાનો જથ્થો રાખવાની બાંહેધરી લીધા બાદ સીલ ખોલવામાં આવશે.
ફટાકડાના વેપારીઓ દ્વારા તહેવારો નજીક આવતાં દુકાનો બંધ રહેવાને લઈને રજૂઆતો કરવામાં આવી હતી. વેપારીઓએ સ્થાનિક આગેવાનો અને પૂર્વ કોર્પોરેટરો મારફતે મ્યુનિસિપલ તંત્ર સમક્ષ દુકાનો ખોલવા માટે માંગ કરી હતી.
AMCની આ સૂચના બાદ વેપારીઓમાં રાહત જોવા મળી રહી છે, જોકે રામોલ દુર્ઘટના બાદ સુરક્ષા નિયમોના પાલન અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.