પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર સામે ‘તોલાબાજી’ના આરોપો, 22 પદાધિકારીઓ સસ્પેન્ડ

પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ માત્ર ત્રણ મહિનામાં જ ‘તોલાબાજી’ અને ‘કટ મની’ના આરોપોને લઈને વિવાદમાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારો, ખાસ કરીને કોલકાતા અને આસપાસથી મળેલી ફરિયાદોને પગલે પાર્ટીએ આંતરિક શિસ્ત જાળવવા કડક કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદોની તપાસ બાદ ભાજપે પોતાના 22 પદાધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, જેમાં કેટલાક મંડળ અધ્યક્ષોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, 250થી વધુ નેતાઓને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી હતી અને સંતોષકારક જવાબ ન મળતાં 22 સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે.
પ્રદેશ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યએ પાર્ટીના નામે થતી ગેરકાયદે વસૂલી અંગે ગંભીરતા દર્શાવી 15 દિવસમાં સ્થિતિ સુધારવાનો અલ્ટીમેટમ આપ્યો છે. સાથે જ રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી ચાર ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે, જેથી લોકો સીધી ફરિયાદ નોંધાવી શકે.
આ સમગ્ર ઘટનાક્રમને કારણે ભાજપ સરકાર માટે આંતરિક જૂથબંધી અને સંગઠનાત્મક શિસ્ત જાળવવાનો પડકાર વધુ ગંભીર બન્યો છે.