આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ગોળી મારી

અમદાવાદના જોધપુર ગામમાં આવેલા એક ફ્લેટના ધાબા પર યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ફ્લેટમાં ભાડેથી રહેતી અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતી રાત્રે વોકિંગ માટે ધાબા પર ગઈ હતી. ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડે યુવતી સાથે ગેરવર્તન કર્યા બાદ વિરોધ કરવા પર તેના ગળામાં વાયર બાંધી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. ત્યારબાદ યુવતીને ધાબા પર બંધ કરીને તેનો ફોન લઈને આરોપી ફરાર થઈ ગયો હતો.
આનંદનગર પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી લેવા 10 ટીમો બનાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી અને બોડકદેવથી હેબતપુર સુધી કોમ્બિંગ હાથ ધર્યું હતું. અંતે હેબતપુર પાસેથી ધરમસિંગ રામશંકરસિંગ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સાંજે 7:22 વાગ્યે લિફ્ટ મારફતે ધાબા પર ગયો હતો અને રાત્રે 8:52 વાગ્યે ફ્લેટમાંથી બહાર નીકળ્યો હતો. યુવતી ધાબા પર વોકિંગ કરી રહી હતી ત્યારે આરોપી ત્યાં હાજર હતો. યુવતીનો ફોન ડિસ્ચાર્જ થતાં તે નીચે જવા માટે દરવાજા તરફ જઈ રહી હતી ત્યારે આરોપીએ તેની સાથે ઝપાઝપી કરી અને ગળામાં વાયર બાંધી ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આરોપીએ યુવતીને ધમકી આપી ધાબાનો દરવાજો બંધ કરી દીધો હતો અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. ઘટના બાદ યુવતીએ બૂમો પાડતા પાંચમા માળે રહેતા લોકો ત્યાં પહોંચ્યા અને તેને બચાવી ઘરે લઈ ગયા. ત્યારબાદ યુવતીએ રૂમ પાર્ટનરને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું અને છેલ્લા ચાર વર્ષથી અમદાવાદમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તે અગાઉ વિવિધ સિક્યોરિટી એજન્સીઓમાં કામ કરી ચૂક્યો હતો અને તાજેતરમાં થલતેજના ઓર્ચિડ મોલ સ્થિત A-One Security Agencyમાં નોકરીએ જોડાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેને કોઈ જરૂરી રજિસ્ટ્રેશન કે તાલીમ વિના માત્ર ચાર દિવસ પહેલાં ફ્લેટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે મૂકવામાં આવ્યો હતો.
આ મામલે સિક્યોરિટી એજન્સીના સંચાલકો આર.પી. તિવારી, શિવકુમાર સિંઘ અને સત્યેન્દ્ર દૂબે સામે પણ કાર્યવાહી કરવાની તૈયારી છે.
પોલીસે નાગરિકોને ઘરઘાટી અથવા સિક્યોરિટી ગાર્ડ રાખતા પહેલાં પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટ્રેશન કરાવવાની અપીલ કરી છે. સાથે જ સિક્યોરિટી એજન્સીઓ દ્વારા કર્મચારીઓની યોગ્ય ચકાસણી અને તાલીમ વિના નિમણૂક કરવામાં આવે છે કે નહીં તે અંગે પણ તપાસ કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે.