ઝારખંડમાં વિદ્યાર્થીઓના આંદોલન પર લાઠીચાર્જ અને ટીયર ગેસ, અનેક વિદ્યાર્થીઓ ઘાયલ

ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિના આક્ષેપોને લઈને છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન સોમવારે ઉગ્ર બન્યું હતું. JPSC કમ્બાઈન્ડ સિવિલ સર્વિસિસ પ્રિલિમિનરી પરીક્ષા 2025 રદ કરવાની અને પરીક્ષામાં થયેલી ગેરરીતિઓની સ્વતંત્ર તપાસ કરવાની માગ સાથે હજારો વિદ્યાર્થીઓએ વિધાનસભા તરફ કૂચ કરી હતી.
વિદ્યાર્થીઓને વિધાનસભા તરફ આગળ વધતાં રોકવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો તેમજ લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ દરમિયાન પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થતાં અનેક વિદ્યાર્થીઓ, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, તેમજ ચાર જેટલા પોલીસકર્મીઓને ઈજા થઈ હતી.
વિદ્યાર્થીઓએ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અનેક બેરિકેડ તોડી વિધાનસભા નજીકના ગેટ નંબર-1 સુધી પહોંચીને ધરણાં શરૂ કર્યા હતા. પોતાની માગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થળ છોડવાનો ઇનકાર કરતાં પોલીસે ફરી લાઠીચાર્જ કર્યો હતો.
વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં ભાજપે આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું છે.