થલતેજમાં AMCની દબાણ હટાવતી ટીમ પર પથ્થરમારો, ચાર વાહનોમાં તોડફોડ

અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગની ટીમ પર 25થી વધુ લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. ઘટનામાં ચાર સરકારી વાહનોના કાચ તૂટ્યા હતા અને એક કર્મચારી સાથે મારપીટ કરવામાં આવી હતી. સ્થિતિ વણસતા ટીમને સ્થળ પરથી પરત ફરવું પડ્યું હતું.
થલતેજના જૂના ગામ વિસ્તારમાં મેટ્રો લાઇન પાસે લારી-પાથરણાના દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદોને પગલે 12 ઓગસ્ટની સાંજે AMCની એસ્ટેટ ટીમ દબાણ હટાવવા પહોંચી હતી. ટીમે શરૂઆતમાં ફેરિયાઓને રસ્તો ખાલી કરવા સૂચના આપી હતી, પરંતુ તેઓ તૈયાર ન થતાં લારીઓ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
આ દરમિયાન ફેરિયાઓ સાથે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને 25થી વધુ લોકોના ટોળાએ ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થરમારામાં દબાણ વિભાગના એક મજૂરને માર મારવામાં આવ્યો હતો. સાથે જ બે દબાણ વાન અને બે એન્ફોર્સમેન્ટ વાન સહિત કુલ ચાર વાહનોના કાચ તૂટી ગયા હતા.
ઘટના બાદ AMCનો સ્ટાફ સ્થળ પરથી પરત ફરી ગયો હતો. ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં અગાઉ પણ બે-ત્રણ વખત આવી ઘટનાઓ બની ચૂકી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર મામલે પોલીસને સત્તાવાર જાણ કરવામાં આવી છે.
જોકે, ઘટના બનીને 24 કલાક વીતી ગયા હોવા છતાં સત્તાવાર રીતે FIR નોંધાઈ ન હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે બે દિવસ અગાઉ સિંધુ ભવન રોડ પર પણ દબાણના મુદ્દે બોલાચાલી અને ઘર્ષણની ઘટના બની હતી.