પાટીદાર આંદોલન : હાર્દિક પટેલ સહિત પાંચ સામેનો વધુ એક કેસ સરકારે પાછો ખેંચ્યો
રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલન સમયના કેસો પરત ખેંચવાની દિશામાં વધુ એક મોટો નિર્ણય લીધો છે. સામાજિક શાંતિ, ભાઈચારો અને જાહેર હિતને ધ્યાને રાખીને રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતાં વર્ષ 2018ના પાટીદાર અનામત આંદોલન સમયના એક ચર્ચિત કેસને પાછો ખેંચી લીધો છે. ગ્રમ્ય કોર્ટના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે સરકારની અરજી ગ્રાહ્ય રાખીને તમામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત પાંચેય આરોપીઓને કેસમાંથી મુક્ત (ડિસ્ચાર્જ) કરવાનો આદેશ
આપ્યો છે.
ઓગસ્ટ 2018માં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે અમદાવાદના નિકોલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં પ્રતીક ઉપવાસનું આયોજન કરાયું હતું. જોકે, આ કાર્યક્રમ માટે તંત્ર દ્વારા કોઈ સત્તાવાર મંજૂરી અપાઈ નહોતી. 19 ઓગસ્ટ 2018ના રોજ નિકોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ એસ. વી. પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે ‘દયાવાન ફાર્મ’ ખાતે પાસના કાર્યકરો એકઠા થયા છે અને વગર મંજૂરીએ ઉપવાસ સ્થળ તરફ રેલી સ્વરૂપે જવાની તૈયારી કરી રહ્યા છે. પોલીસે સ્થળ પર પહોંચી કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર કરી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. આ ઘટના બાદ નિકોલ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા ગેરકાયદે મંડળી રચવા, પોલીસની ફરજમાં રુકાવટ ઊભી કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી હાર્દિક પટેલ, કિરણભાઈ ભગવાનભાઈ પટેલ, ગીતાબેન કિરણભાઈ પટેલ, આશિષકુમાર પ્રવીણભાઈ પટેલ, સંદીપ મનુભાઈ પટેલ અને વિપુલભાઈ નરોત્તમભાઈ પટેલ સામે ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં આરોપી પૈકી ગીતા પટેલ વતી એડવોકેટ અરવિંદ વાણીયા હાજર રહ્યાં હતા. આ દરમિયાનમાં સરકારી વકીલ ટી. પી. ચુડાસમા દ્વારા Cr.P.C કલમ 321 હેઠળ કેસ પાછો ખેંચવા માટે કોર્ટમાં અરજી કરાઈ હતી. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર કક્ષાએ આ કેસ પાછો ખેંચવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે, જે અંગે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા 6 એપ્રિલ 2026ના રોજ પત્ર લખીને જાણ કરાઈ હતી. ન્યાયાધીશ ગૌરવ બલદેવ સિયાગે રજૂઆતો ધ્યાને લઈ નોંધ્યું હતું કે કેસ પાછો ખેંચવા પાછળ કોઈ મલિન ઈરાદો નથી અને જાહેર શાંતિ માટે આ નિર્ણય યોગ્ય છે. કોર્ટે સરકારી વકીલની અરજી મંજૂર કરીને તમામ આરોપીઓને કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા છે.