અમદાવાદમાં અનરાધાર વરસાદ: આવતીકાલે સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર, ઠેર ઠેર પાણી ભરાયા

અમદાવાદ શહેરમાં ગુરુવારે સવારથી જ ભારે વરસાદે કહેર મચાવ્યો હતો. માત્ર 6 કલાકમાં પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન ખોરવાયું હતું. પ્રહલાદ નગર સહિતના વિસ્તારોમાં વાહનો પાણીમાં ફસાયેલા જોવા મળ્યા હતા, જ્યારે ભારે વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી.
ભારે વરસાદ બાદ શહેરના અનેક માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. વિરાટનગર-નિકોલ માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઓઢવ રિંગ રોડથી નિકોલ દાસ્તાન સર્કલ સુધીના વિસ્તારમાં પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી વાહન વ્યવહારને સુચારૂ બનાવવા કામગીરી હાથ ધરી હતી.
વેજલપુર વિસ્તારમાં પાણીમાં ફસાયેલી સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. શહેરમાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ શાળાઓ તેમજ કોલેજોમાં શુક્રવારે રજા જાહેર કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે એસ.જી. હાઈવે પર પણ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. થલતેજથી ઇસ્કોન તરફના માર્ગ પર કિલોમીટરો લાંબી વાહનોની લાઈનો જોવા મળી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ ટ્રાફિકમાં ફસાયો હતો.
આપત્તિની સ્થિતિમાં અમદાવાદ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી. સરખેજ, વસ્ત્રાપુર અને દાણીલીમડા સહિતના વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.
શહેરમાં પાણી ભરાવાને પગલે અખબાર નગર, પરિમલ, જલારામ, ઉસ્માનપુરા અને શાહીબાગ સહિતના 9 અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને નાગરિકોને સાબરમતી નદીના કિનારે ન જવા અપીલ કરવામાં આવી હતી.
આટલા ઓછા સમયમાં પડેલા ભારે વરસાદે અમદાવાદની વરસાદી વ્યવસ્થાની ફરી એકવાર કસોટી કરી છે. હવે મોટો પ્રશ્ન એ છે કે દર વર્ષે ચોમાસામાં સર્જાતી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે અને સ્માર્ટ સિટી અમદાવાદના નાગરિકોને આ મુશ્કેલીમાંથી ક્યારે રાહત મળશે?