પૈસાની ઉઘરાણી કરી ધમકી આપતા પિતા-પુત્રથી કંટાળી યુવકે ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યો

અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના 28 વર્ષીય યુવકે કથિત માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં વેપારની ભાગીદારી અને નાણાકીય વિવાદને લઈને પિતા-પુત્ર દ્વારા સતત ઉઘરાણી અને ધમકી અપાતી હોવાના આક્ષેપ સામે આવ્યા છે. ઘટનાના અનુસંધાનમાં સરખેજ પોલીસે બંને સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પિતાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મૃતક સુરેશસિંહ પુરોહિત મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને સરખેજના ઉજાલા સર્કલ નજીક દ્વારકેશનગર સોસાયટીમાં રહેતો હતો. તે પોતાના ભાઈ સાથે મોબાઇલ એસેસરીઝનો વ્યવસાય કરતો હતો. વર્ષ 2025માં તેણે મિત્ર કાળુ પ્રજાપતિ અને રાહુલ પ્રજાપતિ સાથે ઉજાલા સર્કલ પાસે ‘સાવરીયા મોબાઇલ મની ટ્રાન્સફર’ નામની દુકાન ભાગીદારીમાં શરૂ કરી હતી.
પોલીસ મુજબ, દુકાન શરૂ થયાના લગભગ છ મહિના બાદ સુરેશસિંહ પોતાના વતન ગયો હતો. તે લાંબા સમય સુધી પરત ન આવતા કાળુ અને રાહુલે તેના ભાઈને સુરેશ પાસેથી નાણાં લેવાના હોવાનું જણાવ્યું હતું. બાદમાં સુરેશ અમદાવાદ પરત ફરતા તેને દુકાનમાં આવવાની મનાઈ કરવામાં આવી હતી અને વેપાર શરૂ કરવા માટે થયેલા ખર્ચની રકમની માંગણી સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેને ભાગીદારીમાંથી અલગ કરી દેવામાં આવ્યો હતો.
આક્ષેપ છે કે ભાગીદારીમાંથી અલગ કર્યા પછી પણ પિતા-પુત્ર વારંવાર નાણાંની ઉઘરાણી કરતા અને મોબાઇલ એસેસરીઝની લારી હટાવી દેવાની ધમકી આપતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી આ કારણે સુરેશસિંહ માનસિક રીતે પરેશાન રહેતો હતો. 3 ઓગસ્ટની સવારે તે પોતાના ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
ઘટનાની તપાસ દરમિયાન પોલીસે સુરેશસિંહના મોબાઇલ ફોનમાંથી મહત્વના પુરાવા મેળવ્યા હતા. તેના આધારે સરખેજ પોલીસે કાળુ પ્રજાપતિ અને તેના પુત્ર રાહુલ પ્રજાપતિ (રહે. પાર્વતીકુંજ, સરખેજ) સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. પોલીસે કાળુ પ્રજાપતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાત પહેલાં વોટ્સએપ સ્ટેટસમાં લગાવ્યા ગંભીર આક્ષેપ
પોલીસને સુરેશસિંહના વોટ્સએપમાં પરોઢિયે 4:18 વાગ્યે મૂકાયેલું સ્ટેટસ પણ મળ્યું હતું. તેમાં તેણે કાળુ અને રાહુલ પ્રજાપતિનો ફોટો શેર કરીને પોતાની મોત માટે બંનેને જવાબદાર ઠેરવતા શબ્દો લખ્યા હતા. અન્ય એક સ્ટેટસમાં તેણે પરિવારને યાદ કરતાં તેમજ જેમની પાસેથી પૈસા લીધા હતા અને પરત આપી શક્યો નહોતો તેમની માફી માગી હતી. સાથે જ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પાસે ન્યાય અપાવવાની અપીલ પણ કરી હતી.