કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો સાથે ધક્કામુક્કી, દોડાવી દોડાવીને માર્યા!

જયપુરના બાગરુ વિસ્તારમાં આવેલા રામપુરા-કંવરપુરા ગામમાં સરકારી શાળાની સ્થિતિને લઈને નિરીક્ષણ કરવા પહોંચેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના કાર્યકરોનો ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. CJPના “સ્કૂલોને ઠીક કરો” અભિયાન અંતર્ગત પાર્ટીના કાર્યકરો સરકારી પ્રાથમિક શાળાની સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, પરંતુ ગ્રામજનોએ તેમને ગામમાંથી હાંકી કાઢ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, વહેલી સવારે CJPના કાર્યકરો શાળાની મુલાકાતે પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ તેમનો વિરોધ શરૂ કર્યો હતો. થોડા સમય બાદ CJPના સહ-સંયોજક અને પ્રવક્તા આશુતોષ રંકા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમની હાજરીમાં ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો.
જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી તથા મારામારી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. CJP પ્રવક્તા આશુતોષ રંકાએ આરોપ લગાવ્યો છે કે તેમની ટીમના સભ્યો પર ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના વાહનોના કાચ તોડી નાખવામાં આવ્યા હતા.
CJP કાર્યકરોને ગામમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવાના આક્ષેપ બાદ સમગ્ર ઘટનાને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે. જોકે, ઘટનાને લઈને બંને પક્ષોના દાવાઓ વચ્ચે વાસ્તવિક સ્થિતિ અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે.