ફતેગંજમાં ખુલ્લી તલવારોના પ્રદર્શન મામલે સુઓમોટો કાર્યવાહી કરવાની માંગ

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં જાહેર માર્ગ પર ખુલ્લી તલવારોના પ્રદર્શનના મામલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વિશ્વામિત્રી બચાવો સમિતિએ ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP)ને રજૂઆત કરી ઘટનામાં સંડોવાયેલા લોકો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સમિતિના જણાવ્યા મુજબ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે 26 એપ્રિલ, 2026ના રોજ ફતેગંજ વિસ્તારમાં જાહેર માર્ગ પર આશરે 40થી 50 લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન ખુલ્લી તલવારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ટ્રાફિકને પણ અસર થઈ હતી. રજૂઆતમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક ઉમેદવારોને સામસામે ઊંચી કરાયેલી ખુલ્લી તલવારો વચ્ચેથી પસાર કરાવવામાં આવ્યા હતા.
ઘટના બાદ વડોદરા પોલીસ કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. સમિતિનું કહેવું છે કે જાહેરમાં આ પ્રકારનું હથિયાર પ્રદર્શન થયું હોવા છતાં પોલીસે પોતાની રીતે સુઓમોટો ગુનો નોંધી કાર્યવાહી કરવી જોઈતી હતી.
સમિતિના જણાવ્યા મુજબ, એક તરફ પોલીસ દ્વારા અરજી અંગે ઉપરી અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું, જ્યારે RTI હેઠળ મળેલા જવાબમાં અરજીના સંદર્ભમાં કોઈ કાર્યવાહી કરવાની જરૂર ન હોવાનું કહી તેને ફાઇલ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ બંને જવાબોને લઈને સમિતિએ પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.
DGPને કરેલી રજૂઆતમાં ઘટનાની ગંભીરતાથી તપાસ કરી કાયદો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવા, ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી તલવારો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવા તેમજ સંડોવાયેલા લોકોનો ગુનાહિત ઇતિહાસ તપાસવાની માંગ કરવામાં આવી છે. સમિતિએ જણાવ્યું છે કે જાહેર સ્થળે પોલીસની હાજરીમાં કાયદાનો ભંગ થાય અને કાર્યવાહી ન થાય તો ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન થઈ શકે છે. તેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા તાત્કાલિક અને નક્કર પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.