નેપાળમાં વિનાશક પૂર: મૃત્યુઆંક 900ને પાર, 3,000થી વધુ લોકો લાપત્તા

નેપાળમાં આવેલા વિનાશક પૂરે ભારે તબાહી સર્જી છે. આ કુદરતી આફતને ચાર દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત્ છે. પૂરની ભયાનક અસર દર્શાવતી તસવીરો ત્રાસદીની ગંભીરતા સ્પષ્ટ કરી રહી છે. રવિવારે મૃત્યુઆંક 900ને પાર પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં આશરે 10,000 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 3,000થી વધુ લોકો હજુ પણ લાપત્તા છે.
ભારત સહિત અનેક દેશોએ નેપાળ માટે મદદનો હાથ લંબાવ્યો છે. જોકે, પૂરના કારણે થયેલી જાનહાનિ અને વ્યાપક નુકસાનની ભરપાઈ કરવી અત્યંત મુશ્કેલ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાના બાળકોની ઉદાસીનતા અને મહિલાઓના ચહેરા પરની ચિંતા આ આફતની ગંભીર અસર દર્શાવી રહી છે. અનેક લોકો માટે હાલનું જીવન પણ અનિશ્ચિત બની ગયું છે.
સતત વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. બીજી તરફ, ભારે વરસાદના કારણે ભારતની અનેક નદીઓમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગંગા અને મંદાકિની નદીઓમાં પાણીનું સ્તર વધતાં આસપાસના ગામોમાં પાણી ફરી વળ્યા છે. રવિવારે વધુ 149 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવાયેલા લોકોમાં અમેરિકા, ચીન અને ભારત સહિતના વિવિધ દેશોના નાગરિકોનો સમાવેશ થાય છે.
નેપાળની હોસ્પિટલોમાં પોતાના સ્વજનોની શોધમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં હવે ભૂખમરો અને રોગચાળાનું જોખમ પણ વધ્યું છે. રસુવા અને નુવાકોટ જિલ્લાના નવ જળવિદ્યુત પ્રોજેક્ટ્સમાં કામ કરતા આશરે 537 કામદારો અને કર્મચારીઓ હજુ લાપત્તા હોવાનું સામે આવ્યું છે. કેટલીક સુરંગોમાં ફસાયેલા લોકો સુધી ખોરાક અને પાણી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.