વડોદરા ભાયલી દુષ્કર્મ કેસમાં પાંચેય દોષિતોને આજીવન કેદ, પીડિતાને રૂ.10 લાખ વળતર

વડોદરાના ભાયલીમાં 4 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રિના બીજા નોરતે 16 વર્ષીય સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના ચકચારી કેસમાં કોર્ટે પાંચેય દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે દરેક દોષિતને રૂ.50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે પીડિતાને રૂ.10 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
ભાયલી-બીલ ટીપી રોડ પર આવેલી અવાવરુ જગ્યાએ સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી ત્યારે બે મોટરસાઇકલ પર પાંચ આરોપીઓ ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ સગીરાના મિત્રને બંધક બનાવી તેની સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ ત્રણ દોષિતોએ મિત્રની હાજરીમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓ બાદમાં સગીરાના મિત્રનો મોબાઇલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા.
ઘટના બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મુખ્ય દોષિત મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા અને શાહરૂખ કિસ્મતઅલી બનજારા ઉપરાંત મદદગારી કરનાર સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરવામાં આવી હતી.
કેસમાં કુલ 45 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને CCTV તથા ફોરેન્સિક પુરાવાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોર્ટે ઘટનાને અમાનુષી અને નીચલી કક્ષાનું કૃત્ય ગણાવી હતી. વડોદરામાં સામૂહિક દુષ્કર્મના કેસમાં એકસાથે પાંચ દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોય તેવો આ પ્રથમ બનાવ હોવાનું જણાવાયું છે.