PM મોદીના આગમન પહેલાં વડોદરાનો કાયાકલ્પ, રાતોરાત ચકાચક બન્યું શહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવવાના છે. તેમના આગમન પહેલાં શહેરમાં રસ્તાઓની મરામત, સ્વચ્છતા, રંગરોગાન અને સજાવટનું કામ ઝડપથી હાથ ધરાયું છે. જેના કારણે વડોદરાનો બદલાયેલો નજારો જોવા મળી રહ્યો છે.
PM મોદીના રૂટ અને આસપાસના વિસ્તારોમાં અગાઉ ખાડા અને ધૂળથી પરેશાન કરતા રસ્તાઓને સુધારવામાં આવ્યા છે. શહેરના વિવિધ સર્કલોને થીમ આધારિત સજાવટ સાથે રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા છે. બ્રિજ, દીવાલો અને રસ્તાઓની આસપાસ કલાત્મક ચિત્રો દોરવાની સાથે સ્વચ્છતાના સંદેશ આપતા સ્લોગન પણ લખવામાં આવી રહ્યા છે.
24 કલાકમાં કાર્યક્રમનું રજિસ્ટ્રેશન હાઉસફુલ
8 સપ્ટેમ્બરે એમ.એસ. યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમ માટે દેશમાં પ્રથમવાર ‘બુક માય શો’ મારફતે રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રજિસ્ટ્રેશન શરૂ થયાના માત્ર 24 કલાકમાં જ કાર્યક્રમ હાઉસફુલ થઈ ગયો હતો.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન યુવાનો સાથે સીધો સંવાદ કરશે. આ માટે વિશેષ ‘Y’ આકારનો રેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે. કાર્યક્રમનું IPLની જેમ 4K ટેક્નોલોજીથી લાઇવ કવરેજ પણ કરવામાં આવશે.
સુરક્ષા માટે 2 હજારથી વધુ પોલીસ જવાનો તહેનાત
વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ 11 DCP અને 17 ACP સહિત 2 હજારથી વધુ પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પંડ્યા બ્રિજથી ફતેહગંજ થઈ જૂના ‘વુડા’ સર્કલ સુધીનો રસ્તો બંધ રાખવામાં આવશે. પોલીસે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
શહેરના બદલાયેલા રૂપથી લોકોમાં ચર્ચા
વડોદરાના અચાનક બદલાયેલા રૂપને લઈને સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે. લોકો સવાલ કરી રહ્યા છે કે VIPના આગમન સમયે જ રસ્તા, સફાઈ અને સજાવટનું કામ આટલી ઝડપથી કેમ થાય છે.
લોકોમાં એવી પણ ચર્ચા છે કે જો VIPના આગમનથી શહેરનો આ રીતે કાયાકલ્પ થઈ શકે છે, તો વડોદરામાં VIPની મુલાકાત વારંવાર થવી જોઈએ.