આણંદ કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ. એમ.પી.પટેલની નિમણૂંક

ચાર દાયકાની કારકિર્દી કૃષિ સંશોધન, કૃષિ શિક્ષણ અને યુનિવર્સિટી વહીવટને સમર્પિત કરનાર ડૉ.મનુભાઈ પ્રહલાદભાઈ પટેલ હવે નામાંકિત આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નવી જવાબદારી સંભાળશે.
મહેસાણા જિલ્લાના કુંડળ ગામના સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા ડૉ.મનુભાઈએ ગ્રામીણ પૃષ્ઠભૂમિથી પ્રારંભ કરીને કૃષિ વિજ્ઞાનના ઉચ્ચતમ શૈક્ષણિક અને વહીવટી શિખરો સર કર્યા છે. ખેતી અને ગ્રામીણ જીવન સાથેના ગાઢ જોડાણમાંથી પ્રેરણા મેળવીને તેમણે કૃષિ સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે પ્લાન્ટ બ્રીડિંગ એન્ડ જિનેટિક્સ વિષયમાં અનુસ્નાતક અને પીએચ.ડી.ની પદવી મેળવીને કૃષિ સંશોધન અને વહીવટી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ગુજરાત રાજ્ય માટે કૃષિ માત્ર વ્યવસાય નથી, પરંતુ ગુજરાતના લાખો ખેડૂતો માટે જીવનનો આધાર છે, આવા ખેડૂતોના જીવનને વધુ સમૃદ્ધ અને સક્ષમ બનાવવાના સંકલ્પ સાથે ડૉ.મનુભાઈ પી.પટેલની વ્યાવસાયિક અને શૈક્ષણિક કારકિર્દી કૃષિ વિજ્ઞાનના ક્ષેત્રે અત્યંત પ્રેરણારૂપ રહી છે. તેમના નામે કુલ ૧૯૯ જેટલાં પ્રકાશન નોંધાયેલાં છે, જેમાં ૫૪ આંતરરાષ્ટ્રીય અને ૧૯ રાષ્ટ્રીય સંશોધન લેખોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે ૭ મહત્વપૂર્ણ સંશોધન પ્રોજેક્ટ્સનું સફળ સંચાલન કર્યું છે તેમજ પુસ્તકો, પ્રાયોગિક માર્ગદર્શિકાઓ અને ગુજરાતી લેખોના માધ્યમથી કૃષિ વિજ્ઞાનના જ્ઞાનનો વ્યાપ વિસ્તૃત કર્યો છે. એક કુશળ સંશોધક અને બ્રીડર તરીકે તેમણે શાકભાજી પાકો, કઠોળ વર્ગના પાકો અને જેવા ઘઉં વિભિન્ન પાકોમાં ઉત્કૃષ્ટ સંશોધન કાર્ય કર્યું છે. તેમના સક્રિય યોગદાનથી ૨૪ નવી પાક જાતો વિકસાવવામાં આવી છે અને કૃષિ સમુદાય માટે ૨૫ વિશેષ ભલામણો પણ પ્રદાન કરવામાં આવી છે. તેમણે વિવિધ મહાવિદ્યાલયોમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો ભણાવ્યા છે તેમજ અનેક અનુસ્નાતક વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડયું છે. આ સાથે તેમણે સંસ્થાકીય વહીવટમાં પણ દીર્ઘ અનુભવ પ્રાપ્ત કર્યો છે.
તેમના લાંબા અનુભવ અને ઉત્કૃષ્ટ યોગદાનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા તા.૮-૯-૨૦૨૬ના રોજ ડૉ. મનુભાઈ પટેલની આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ, શિક્ષકની સંવેદનશીલતા અને વહીવટકર્તાની કુશળતાનો સંગમ ધરાવતું તેમનું નેતૃત્વ યુનિવર્સિટીને ભવિષ્યમાં ચોક્કસપણે નવી ઊંચાઈઓ પર લઈ જશે. આણંદ કૃષિ યુનિવર્સિટીના તમામ અધિકારીશ્રીઓ, અધ્યાપકો, વૈજ્ઞાનિકો અને કર્મચારીગણ દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં હતી.
સંશોધનને પ્રયોગશાળાથી સીધા ખેતર સુધી પહોંચાડવાની તેમની નેમ હમેશ માટે રહી છે. ડૉ.મનુભાઈ પટેલે અગાઉ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર, ડીન, આચાર્ય અને નિયામક જેવા મહત્વના પદો પર રહીને ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. કૃષિ ક્ષેત્રે તેમની આ વિશિષ્ટ સેવાઓની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે, જેના ભાગરૂપે તેમને ‘લાઇફ ટાઈમ અચીવમેન્ટ અવૉર્ડ’ (૨૦૧૭), ‘ભારત જ્યોતિ અવૉર્ડ’ (૨૦૧૮), ‘સદ્વિચાર પરિવાર અવૉર્ડ’ (૨૦૨૨) તેમજ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ‘બેસ્ટ પોસ્ટર પ્રેઝન્ટેશન અવૉર્ડ’ જેવા પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે.