દમામથી દિલ્હી જતી ફ્લાઇટમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

સાઉદી અરેબિયાના દમામથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ટિશ્યુ પેપર પર અંગ્રેજીમાં ‘BOMB DEAD 4:30’ લખેલું મળતાં ફ્લાઇટમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બરોમાં ચિંતા ફેલાઈ હતી.
એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એ. ડી. ચાવડાના જણાવ્યા મુજબ, ફ્લાઇટ સવારે 10:25 વાગ્યે દમામથી દિલ્હી માટે રવાના થઈ હતી. ફ્લાઇટ દરમિયાન બપોરે આશરે 4 વાગ્યાની આસપાસ ક્રૂ મેમ્બરને એક ટિશ્યુ પેપર મળ્યું હતું, જેના પર બોમ્બ અંગેની ધમકી લખવામાં આવી હતી.
ધમકી મળતાં જ પાયલટ અને એરલાઇન સ્ટાફે અમદાવાદ એરપોર્ટ તંત્રનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સુરક્ષાના ભાગરૂપે ફ્લાઇટને સાંજે 4:22 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
ફ્લાઇટ લેન્ડ થયા બાદ તેમાં સવાર તમામ 32 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મુસાફરોને અલગ રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ સમગ્ર વિમાનની સઘન તપાસ કરી હતી.
તપાસ દરમિયાન ફ્લાઇટમાંથી કોઈ બોમ્બ કે અન્ય શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. જેના કારણે મુસાફરો અને એરપોર્ટ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
પોલીસે ધમકી આપનાર વ્યક્તિને શોધવા માટે તપાસ શરૂ કરી છે. આ માટે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરોના હેન્ડરાઇટિંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. ટિશ્યુ પેપર પર લખાયેલા શબ્દો સાથે આ સેમ્પલનું મેચિંગ કરવામાં આવશે. જરૂર પડ્યે ફોરેન્સિક તપાસની પણ મદદ લેવામાં આવશે.
ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ પર થોડા સમય માટે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી હતી. તમામ સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ મુસાફરોને ફરીથી ફ્લાઇટમાં બેસાડી દિલ્હી મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.