ભક્તિના રંગે રંગાયું ગુજરાત, દ્વારકાથી ડાકોર સુધી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન અવસરે સમગ્ર ગુજરાત ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. દ્વારકા, ડાકોર, તુલસીશ્યામ, શામળાજી સહિતના વિવિધ કૃષ્ણધામોમાં ભવ્ય રોશની અને દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહી ભગવાનના દર્શન કર્યા હતા.
જન્માષ્ટમી નિમિત્તે વાલીઓ પોતાના બાળકોને કાન્હા અને રાધાના સ્વરૂપમાં સજાવીને મંદિરોમાં લઈ આવ્યા હતા. બાળકોને વાંસળી, મુકુટ અને પીતાંબર પહેરાવવામાં આવ્યા હતા, જેના કારણે મંદિરોમાં ભક્તિ સાથે ઉત્સવનો માહોલ પણ જોવા મળ્યો હતો.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભજન-કીર્તન અને રાસ-ગરબાના કાર્યક્રમો રાત્રે મોડે સુધી યોજાયા હતા. ધોળકાના કેલીયા વાસણા ખાતે વિશેષ ડમરુ આરતી સાથે ભવ્ય મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા.
મધરાતે શંખનાદ અને મહાઆરતી
રાત્રે 12 વાગ્યે શંખનાદ, મહાઆરતી અને ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના નાદ સાથે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ ફટાકડાની આતશબાજી કરવામાં આવી હતી. મહાઆરતી બાદ ભક્તોએ ચરણામૃત અને પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.