પીએમ મોદીના 76મા જન્મદિવસે દેશભરમાં ઉજવણી, 700 સ્થળોએ દીપ પ્રાગટ્ય સહિત વિવિધ કાર્યક્રમો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા 17 સપ્ટેમ્બરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સેવાકીય પ્રવૃત્તિઓથી લઈને બાઇક રેલીઓ અને દીપ પ્રાગટ્ય સુધીના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત વડાપ્રધાનને મળેલી ભેટોની ઓનલાઈન હરાજી પણ આજથી શરૂ થશે.
વડનગરથી વારાણસી સુધી બાઇક રેલી
મોદીના જન્મસ્થળ વડનગરથી તેમના લોકસભા મતવિસ્તાર વારાણસી સુધી એક બાઇક રેલી યોજાશે. સાથે જ વારાણસીથી વડનગર સુધી બીજી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરથી નીકળનારી રેલીને લીલીઝંડી આપશે, જ્યારે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ વારાણસીથી વડનગર જતી રેલીને લીલીઝંડી આપશે. બંને રેલીઓમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે.
દિલ્હીમાં બ્લડ ડોનેશન કેમ્પ
જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ અધ્યક્ષ નિતિન નવીન આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં પણ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો યોજાશે.
700 સ્થળોએ દીપ પ્રાગટ્ય
ભાજપના એક નેતા અનુસાર, વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે દેશવ્યાપી સફાઈ અભિયાન પણ ચલાવવામાં આવશે. સાંજના સમયે દેશભરમાં આશરે 700 સ્થળોએ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા દીપ પ્રાગટ્યના કાર્યક્રમો યોજાશે. ભાજપ શાસિત વિવિધ રાજ્યોમાં પણ મુખ્યમંત્રીઓ દ્વારા અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મોદીને મળેલી 1500 જેટલી ભેટોની ઓનલાઈન હરાજી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અત્યાર સુધીમાં મળેલી આશરે 1500 જેટલી ભેટોની ઓનલાઈન હરાજી પણ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ઈ-ઓક્શન 31 ઓક્ટોબર સુધી ચાલશે. દિલ્હીની નેશનલ ગેલેરી ઑફ મોડર્ન આર્ટ ખાતે વડાપ્રધાનને મળેલી ભેટોનું પ્રદર્શન પણ યોજવામાં આવશે.