પીએમ આવાસ ઘેરાવ મુદ્દે દેશભરમાં રાજકીય ઘર્ષણ: અનેક રાજ્યોમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓ આમને-સામને

દિલ્હીમાં પીએમ આવાસ બહાર કોંગ્રેસના વિરોધ પ્રદર્શન બાદ દેશના અનેક રાજ્યોમાં રાજકીય તણાવ વધ્યો છે. દિલ્હી, બિહાર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને જમ્મુ સહિત અનેક સ્થળોએ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું, જ્યારે પોલીસે ભીડને કાબૂમાં લેવા ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો.
દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓની અટકાયત અને વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં કોંગ્રેસે દેશભરમાં પ્રદર્શન યોજ્યાં હતા. બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસ કાર્યાલયોની બહાર વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો, જેના કારણે અનેક સ્થળોએ બંને પક્ષોના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા.
જંતર-મંતર અને સંસદ માર્ગ વિસ્તારમાં ફરી એકવાર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જંતર-મંતર આસપાસના વિસ્તારમાં એક રાત માટે ઇન્ટરનેટ સેવા સ્થગિત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પ્રદર્શન દરમિયાન કેટલાક દેખાવકારોએ પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે કાર્યવાહી કરાઈ હતી.
બિહારમાં વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા રાજભવનનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે તેમને રોકવા માટે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં પણ રાજકીય પક્ષોના વિરોધ પ્રદર્શન વચ્ચે તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું, જેમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત કેટલાક લોકો ઘાયલ થયા હતા. આંધ્ર પ્રદેશના વિજયવાડા અને બિહારના પટણામાં પણ બંને પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
જમ્મુના શહીદ ચોક વિસ્તારમાં પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને આવી જતા તણાવ સર્જાયો હતો. રાહુલ ગાંધી દ્વારા દિલ્હીમાં પીએમ આવાસનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યા બાદ ભાજપે વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા, જેના જવાબમાં કોંગ્રેસે પણ અનેક સ્થળોએ દેખાવો યોજ્યા હતા.
આ દરમિયાન જંતર-મંતર ખાતે ફરી મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા હતા. ઓલિમ્પિયન બજરંગ પુનિયા પણ ત્યાં પહોંચીને પ્રદર્શનકારીઓને સમર્થન આપ્યું હતું.
બીજી તરફ સંસદના બંને ગૃહોમાં પણ પેપર લીક કેસ, વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જ અને વિરોધ પ્રદર્શનના મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી હતી.