ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદ સહિત 8 જિલ્લામાં આવતીકાલે શાળા-કોલેજો બંધ

ગુજરાતમાં આગામી 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની સંભાવનાને પગલે અમદાવાદ સહિત રાજ્યના 8 જિલ્લામાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ, વડોદરા, નવસારી, ખેડા, ડાંગ, નર્મદા, આણંદ અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શુક્રવાર, 31 જુલાઈના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. આ નિર્ણય હેઠળ આંગણવાડીથી લઈને કોલેજ સુધીની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
અમદાવાદમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે આદેશ
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં રજા રહેશે. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોનો સમાવેશ થાય છે.
શાળા સંચાલકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને રજા અંગેની માહિતી WhatsApp, SMS અથવા અન્ય માધ્યમો દ્વારા તાત્કાલિક પહોંચાડે. સાથે જ નાગરિકોને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
AMC સંચાલિત આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ
અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાવચેતીના ભાગરૂપે AMC સંચાલિત તમામ આંગણવાડીઓ 3 ઓગસ્ટ 2026 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી વરસાદ દરમિયાન અવરજવર અને અન્ય જોખમોથી બચી શકાય.
વડોદરામાં શાળા-કોલેજોમાં રજા
વડોદરા શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે 31 જુલાઈના રોજ તમામ આંગણવાડી, શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને તમામ શૈક્ષણિક સંસ્થાઓને આ નિર્ણયનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. આદેશનો ભંગ કરનાર સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
છોટા ઉદેપુરમાં પ્રાથમિક શાળાઓ બંધ
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે છોટા ઉદેપુર જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે 31 જુલાઈના રોજ તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી છે.
નર્મદા જિલ્લામાં તમામ શાળાઓમાં રજા
નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર થયા બાદ જિલ્લા તંત્ર દ્વારા સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે 31 જુલાઈના રોજ તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત, કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે SDRF અને NDRFની ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને નદી, તળાવ અને જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.