ભાવનગરમાં આજે સતત બીજા દિવસે આંગણવાડી, શાળા-કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર ડો. મનીષ બંસલે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે આજે, 1 ઓગસ્ટે, જિલ્લામાં સતત બીજા દિવસે તમામ આંગણવાડી કેન્દ્રો, સરકારી, અનુદાનિત અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં દિવસભર હળવાથી ભારે વરસાદી ઝાપટાં બાદ વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી રહેશે નહીં, પરંતુ તમામ આચાર્યો, શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ નિયમિત સમયસર હાજર રહી જરૂરી વહીવટી કામગીરી બજાવવાની રહેશે.
સાથે જ જિલ્લા કલેક્ટરે નાગરિકોને સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.