રાહુલ ગાંધી સામે FIRના વિરોધમાં શામળાજી અને હિંમતનગરમાં કોંગ્રેસનું પ્રદર્શન

રાહુલ ગાંધી સામે નોંધાયેલી FIRના વિરોધમાં ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. તેના ભાગરૂપે શામળાજી ચાર રસ્તા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસ.ટી. સેલના ચેરમેન રાજેન્દ્ર પારઘીના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરોએ ધરણાં યોજી સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.
આ પ્રદર્શનમાં તાલુકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, પક્ષના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે દેશમાં લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું જતન થવું જોઈએ. અન્યાય અને ભેદભાવ સામે અવાજ ઉઠાવનારા નેતાઓને કાયદાકીય કાર્યવાહીના ડરથી ચૂપ કરવાના પ્રયાસો સ્વીકાર્ય નથી.
કોંગ્રેસે રાહુલ ગાંધી સામે નોંધાયેલી FIR તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી હતી. સાથે જ અન્યાય સામે લોકશાહી ઢબે લડત ચાલુ રાખવાની પણ જાહેરાત કરી હતી. વિરોધને ધ્યાનમાં રાખીને શામળાજી ચાર રસ્તા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન હલ્લાબોલ કરી રહેલા કેટલાક કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી તેમને શામળાજી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
હિંમતનગરમાં પણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
બીજી તરફ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગરના મોતીપુરા સર્કલ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના નિર્ણયો અને કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
કોંગ્રેસ કાર્યકરોએ ઉત્તરાખંડની ઘટના, અસ્પૃશ્યતાની રાજનીતિ, રાષ્ટ્રીય નેતાઓ સામે કરવામાં આવેલા કથિત ખોટા કેસ તેમજ સંવિધાન અને સામાજિક ન્યાયના રક્ષણના મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી અશોકભાઈ પટેલ, પ્રિયવદન પટેલ, ઇશાક શેખ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.