AUDAમાં સસ્તું મકાન અપાવવાની લાલચ આપી 11 લોકો સાથે રૂ. 24.50 લાખની ઠગાઈ, આરોપી ઝડપાયો

અમદાવાદમાં AUDAના સસ્તા મકાનો અપાવવાની લાલચ આપી 11 લોકો પાસેથી કુલ રૂ. 24.50 લાખ પડાવી લેવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજેશ ઉર્ફે રાજભા બાબુલલાલ રાઠોડ નામના શખ્સે પોતે AUDAના ડિરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી લોકોને વિશ્વાસમાં લીધા હતા. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફિલ્મોના પ્રમોશનના બહાને સંપર્કમાં આવ્યો
ફરિયાદી નિયતિબહેન જૈન સોશિયલ મીડિયા મેનેજમેન્ટ ક્ષેત્રે કામ કરે છે. ફિલ્મોના સોશિયલ મીડિયા પ્રમોશન દરમિયાન તેમની આરોપી સાથે મુલાકાત થઈ હતી. આરોપીએ પોતાની પાસે અનેક ગુજરાતી ફિલ્મોના પ્રોજેક્ટ હોવાનું જણાવી સોશિયલ મીડિયા પાર્ટનર તરીકે કામ કરવાની ઓફર કરી હતી. ત્યારબાદ તેણે અમદાવાદમાં AUDAના મકાનો સરળતાથી અપાવી શકવાની વાત કરી હતી.
ફેબ્રુઆરી 2026માં નિયતિબહેન અને તેમના પતિ વસ્ત્રાપુર સ્થિત આરોપીના ઘરે મળ્યા હતા. મકાન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરતાં આરોપીએ ટોકન પેટે રૂ. 1 લાખ બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા લીધા હતા.
AUDAના ડિરેક્ટર હોવાનો દાવો
લોકોનો વિશ્વાસ જીતવા માટે આરોપીએ પોતે AUDAના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં હોવાનું જણાવ્યું હતું. આ પ્રક્રિયામાં કોઈ બ્રોકરની જરૂર ન હોવાનું કહી તેણે AUDAના સભ્યોની યાદીમાં પોતાનું નામ દર્શાવતો કથિત બનાવટી દસ્તાવેજ પણ બતાવ્યો હતો.
આ ઉપરાંત, તેણે સ્વિસ બેંકમાં રૂ. 3,400 કરોડ હોવાનો દાવો કરતી કથિત નકલી બેંક સ્ટેટમેન્ટ પણ બતાવી હતી. આરોપીની વાતોમાં વિશ્વાસ આવી જતાં ફરિયાદી દ્વારા અન્ય પરિચિતોને પણ આ યોજનામાં જોડવામાં આવ્યા હતા.
ચેક બાઉન્સ થતાં સમગ્ર મામલો સામે આવ્યો
આરોપીએ 11 લોકો પાસેથી રોકડ અને બેંક ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. 24.50 લાખ લીધા હતા. લાંબા સમય બાદ પણ મકાન ન મળતાં પીડિતોએ 1 ઓગસ્ટે કરાર નોટરાઇઝ્ડ કરાવ્યો હતો, જેમાં આરોપીએ 17 ઓગસ્ટ સુધીમાં નાણાં પરત કરવાની ખાતરી આપી હતી.
જોકે, નાણાં પરત ન આપતાં આરોપીએ પ્રશાંત ગાંધીના નામે રૂ. 6.30 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ પીડિતોએ વસ્ત્રાપુર પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસમાં વધુ પીડિતો સામે આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.