સંસદમાં આજે પેપર લીક વિરોધી સુધારા બિલ રજૂ થશે, દોષિતોને 10 વર્ષની જેલની જોગવાઈ

સંસદના ચોમાસુ સત્રમાં આજે કેન્દ્ર સરકાર પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને સુરક્ષા વધારવાના હેતુથી ‘પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) સુધારા વિધેયક, 2026’ લોકસભામાં રજૂ કરશે. કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ આ બિલ રજૂ કરશે. NEET પરીક્ષા વિવાદ અને દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલન બાદ સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ સુધારા લાવવામાં આવી રહ્યા છે. બિલમાં પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે 10 વર્ષની જેલ સહિતની કડક જોગવાઈઓનો પ્રસ્તાવ છે.
બીજી તરફ, વિપક્ષે NEET મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી છે. DMKના સાંસદો ટી.આર. બાલૂ અને તિરુચિ શિવાએ NEET પર તાત્કાલિક પ્રતિબંધ અને વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહી અંગે ચર્ચાની માંગ સાથે સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે. કોંગ્રેસના સાંસદો મણિકમ ટાગોર અને વિજય વસંતે પણ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગના આરોપોની તપાસની માંગ કરી છે.
આ બિલ પર લોકસભામાં અંદાજે 8થી 10 કલાક સુધી ચર્ચા થવાની શક્યતા છે. ભાજપ અને તેના સહયોગી પક્ષોના અનેક યુવા સાંસદો ચર્ચામાં ભાગ લેશે. નવા શિક્ષણ મંત્રી પ્રહ્લાદ જોશી પણ આજે પ્રથમ વખત પ્રશ્નકાળ દરમિયાન શિક્ષણ મંત્રાલય સંબંધિત પ્રશ્નોના જવાબ આપશે.
સરકારે પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે નંદન નીલેકણીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના પણ કરી છે. આ સમિતિમાં પૂર્વ ISRO પ્રમુખ ડો. એસ. સોમનાથ, પૂર્વ IB ડિરેક્ટર તપન ડેકા, પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ અને અમૃત લાલ મીણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ, IIT મદ્રાસના ડિરેક્ટર ડો. વી. કામકોટીએ બેંકિંગ ક્ષેત્રની તર્જ પર ‘મેકર-ચેકર’ મોડલ અપનાવી પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાની ભલામણ કરી છે.
આજના સંસદીય કાર્યસૂચિમાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા ‘સુપ્રીમ કોર્ટ (જજોની સંખ્યા) સુધારા વિધેયક, 2026’ પણ રજૂ કરવામાં આવશે. આ બિલનો હેતુ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યાને લગતી જોગવાઈઓમાં જરૂરી સુધારા કરવાનો છે.