વટવામાં વરસાદ વચ્ચે બે યુવકોના મૃતદેહ મળ્યા, કરંટ લાગવાથી મોતની શંકા

અમદાવાદના વટવા વિસ્તારમાં ગામડી તરફ જવાના રોડ પરથી વરસાદ વચ્ચે બે યુવકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. બંને યુવકો 17 સપ્ટેમ્બરે એ.સી. રિપેરિંગના કામ માટે ઘરેથી નીકળ્યા હતા. બીજા દિવસે સવારે તેમના મૃતદેહ મળી આવ્યા હતા.
મૃતકોમાં શાહવાડી-નારોલના 27 વર્ષીય રજનીકાંત ચૌહાણ અને જમાલપુરના 37 વર્ષીય દીપક પરમારનો સમાવેશ થાય છે. બંને મિત્રો બાઈક પર એ.સી. રિપેરિંગ માટે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વટવા પોલીસને ઘટનાની જાણ થતાં ટીમ સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન બંનેના શરીર પર ઈજાના કોઈ સ્પષ્ટ નિશાન મળ્યા નહોતા. જેના કારણે પ્રાથમિક રીતે કરંટ લાગવાથી મોત થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાસ્થળેથી કોઈ જીવતો વીજ વાયર મળી આવ્યો નથી.
હાલ પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. PM અને FSL રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. આ ઉપરાંત પોલીસ CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે પણ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.