ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઑફ યુનિટી ડિઝાઇન કરનાર પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું નિધન થયું છે. ગુરૂવારે (18 ડિસેમ્બર) તેમના પુત્રએ જાહેરાત કરી કે, બુધવારે (17 ડિસેમ્બર) મોડી રાત્રે તેમના નોઈડા સ્થિત ઘરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 100 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા.
તેમના પુત્ર અનિલ સુતારે ગુરૂવારે (18 ડિસેમ્બર) જણાવ્યું હતું કે, ‘ખૂબ જ દુઃખ સાથે અમે તમને જણાવીએ છીએ કે, મારા પિતા શ્રીરામ વણજી સુતારનું 17 ડિસેમ્બરે મધ્યરાત્રિએ અમારા ઘરે અવસાન થયું.’
19 ફેબ્રુઆરી, 1925ના રોજ હાલના મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના ગોંડુર ગામમાં એક સાદા પરિવારમાં જન્મેલા સુતારને બાળપણથી જ શિલ્પકળામાં રસ હતો. મુંબઈની જેજે સ્કૂલ ઑફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરના ગોલ્ડ મેડલિસ્ટ રામ સુતારના નામે ઘણી સિદ્ધિઓ છે. સંસદ સંકુલમાં ધ્યાન મુદ્રામાં મહાત્મા ગાંધી અને ઘોડા પર સવાર છત્રપતિ શિવાજીની પ્રખ્યાત પ્રતિમાઓ તેમની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી સરદાર પટેલનું સન્માન કરતી ડિઝાઇન પણ તેમણે જ બનાવી હતી. રામ સુતારને 1999માં પદ્મશ્રી અને 2016માં પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા. તાજેતરમાં, રામ સુતારને રાજ્યના સર્વોચ્ચ પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.













Leave a Reply