નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને સોનું ખરીદવામાં સંયમ રાખવા તેમજ પેટ્રોલ-ડીઝલ અને કૂકિંગ ઓઈલનો વપરાશ ઘટાડવા અપીલ કર્યા બાદ હવે તેની અમલવારીની શરૂઆત નેતાઓના કાફલાથી થતી જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓએ પોતાના કાફલામાં સામેલ વાહનોની સંખ્યામાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે 14થી 17 વાહનો સાથે ચાલતા વડાપ્રધાન મોદીના કાફલામાં હવે માત્ર ચાર કાર જ સામેલ રહેશે.
વડાપ્રધાન મોદીએ પોતાનાં કાફલામાં શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરવા પણ સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. તેમના આ નિર્ણયથી પ્રેરાઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી Yogi Adityanathએ પોતાના કાફલામાં રહેલી કારોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. મધ્ય પ્રદેશ સહિત દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશમાં પણ આ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
બુધવારે યોજાયેલી બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય મંત્રીઓને જરૂરી હોય ત્યારે જ ખર્ચ કરવા અને ઇંધણ બચત પર ભાર મૂકવાની સલાહ આપી હતી. આ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી Nitin Gadkariએ મહારાષ્ટ્ર પોલીસને પત્ર લખી જણાવ્યું હતું કે તેઓ હવે મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન હાઈવે પ્રોજેક્ટ્સની મુલાકાત માટે સરકારી બસ દ્વારા મુસાફરી કરશે. સાથે જ તેમના કાફલામાં સામેલ વાહનોની સંખ્યા પણ 50 ટકા સુધી ઘટાડવામાં આવશે.
બીજી તરફ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવની અસર હવે ભારતના ઇંધણ બજાર પર પણ પડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર Sanjay Malhotraએ ચેતવણી આપી છે કે જો ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થશે તો સરકારને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાનો નિર્ણય લેવો પડી શકે છે. તેમણે જણાવ્યું હતું કે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલું ઘર્ષણ લાંબો સમય ચાલશે તો સરકાર માટે લાંબા સમય સુધી ઇંધણના ભાવ સ્થિર રાખવા મુશ્કેલ બની શકે છે.
આથી આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.












Leave a Reply