અમદાવાદમાં 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. રથયાત્રા સુચારૂ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ અને મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર રૂટનું સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું.
જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી સરસપુર સુધીના સમગ્ર માર્ગનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેથી રથો, વાહનો અને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે. સાથે જ માર્ગ પર આવેલા જર્જરિત મકાનોના જોખમી ભાગો દૂર કરવામાં આવ્યા છે અને સુરક્ષાના ભાગરૂપે ત્યાં પતરાં તથા ગ્રીન કવર લગાવવામાં આવ્યા છે. આવા સ્થળોએ પોલીસ બંદોબસ્ત અને કોર્પોરેશનની ટીમ પણ તૈનાત રહેશે.
રથયાત્રાના રૂટમાં અવરોધરૂપ બનતા વૃક્ષોની ટ્રિમિંગ સહિતની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે રૂટ નિરીક્ષણ દરમિયાન કોઈ નોંધપાત્ર ખામી જોવા મળી નથી અને તમામ વિભાગોએ સમયસર પ્રશંસનીય કામગીરી કરી છે.
મેયરે જણાવ્યું કે રથયાત્રામાં જોડાનારા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી વ્યવસ્થાઓ અગાઉથી જ સુનિશ્ચિત કરવામાં આવી છે.













Leave a Reply