છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ઝાબ (પાણીબાર) ગામ નજીક આવેલો કોઝવે ધોવાઈ ગયો છે. ટોકરવા કોતરમાં આવેલા પૂરનાં પ્રચંડ પ્રવાહથી કોઝવેનો મોટો ભાગ તૂટી પડતાં બોરધા, નાની અમરોલ, સજૂલી, દેગલા સહિત અનેક અંતરિયાળ ગામોનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
કોઝવેને નુકસાન થતાં વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે. જેના કારણે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નોકરીયાતો, ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન પર પણ અસર થઈ છે અને લોકોને લાંબા વૈકલ્પિક માર્ગોનો સહારો લેવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, દર વર્ષે ચોમાસામાં ટોકરવા કોતરમાં પૂર આવતાં આ કોઝવેને નુકસાન પહોંચે છે. વર્ષોથી આ સમસ્યા યથાવત હોવા છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે ગ્રામજનોને દર ચોમાસે જોખમ વચ્ચે અવરજવર કરવી પડે છે.
આ ઘટનાને પગલે ગ્રામજનોએ જિલ્લા વહીવટીતંત્ર અને માર્ગ-મકાન વિભાગ સમક્ષ કોઝવેના વારંવારના સમારકામને બદલે અહીં કાયમી પાકો પુલ અથવા મોટું નાળું બનાવવાની માંગ ઉઠાવી છે. સાથે જ હાલ બંધ થયેલા માર્ગને તાત્કાલિક ધોરણે કાર્યરત કરવા અને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની પણ માંગ કરવામાં આવી છે.













Leave a Reply