અમદાવાદના અસારવા સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ લાઈનની સફાઈ દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ઝેરી ગેસની અસરથી બેભાન થઈ ગયા હતા. તેમને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટનામાં એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
માહિતી મુજબ, 6 જુલાઈની સાંજે ડ્રેનેજ સફાઈ દરમિયાન પ્રવીણ વાઘેલા, સાહિલ નાડિયા અને રોકી મેકવાનને પૂરતા સુરક્ષા સાધનો વિના જ ડ્રેનેજમાં ઉતારવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ડ્રેનેજની અંદર ઝેરી ગેસના કારણે ત્રણેય બેભાન થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ ત્રણેય કર્મચારીઓને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ ઘટનાને લઈને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. સુરક્ષા સાધનો વિના જોખમી કામગીરી કરાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલનો હાઉસકીપિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો છે. કર્મચારીઓએ જવાબદારો સામે કડક કાર્યવાહી તેમજ ભવિષ્યમાં તમામ સફાઈ કર્મચારીઓને જરૂરી સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.
હાલ હોસ્પિટલ તંત્ર અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ હડતાળ સમેટવા માટે કર્મચારીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. જોકે, કર્મચારીઓ પોતાની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાના મૂડમાં હોવાનું જાણવા મળ્યું છે.















Leave a Reply