મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર ઉજ્જૈનમાં જમીન ખરીદી મામલે વિવાદમાં સપડાયો છે. એક મીડિયા અહેવાલ બાદ કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરતા આક્ષેપ કર્યો છે કે સિંહસ્થ કુંભ મેળા-2028 અને ઉજ્જૈન માસ્ટર પ્લાન-2035 હેઠળ વિકાસ થનારા વિસ્તારોમાં મુખ્યમંત્રીના પરિવારે મોટા પાયે જમીનો ખરીદી છે.
સરકારી દસ્તાવેજોના આધારે એવો દાવો કરવામાં આવ્યો છે કે ડિસેમ્બર 2023થી ડિસેમ્બર 2025 દરમિયાન મુખ્યમંત્રીના પરિવારજનો દ્વારા ઉજ્જૈન અને આસપાસના વિસ્તારોમાં આશરે 168 એકર જમીનમાં ફેલાયેલા 137 પ્લોટ ખરીદવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત લગભગ 45 કરોડ રૂપિયા છે. આ જમીનોમાં મોટો હિસ્સો નવા જાહેર કરાયેલા હાઇવે અને વિકાસ પ્રોજેક્ટ્સની નજીક આવેલો હોવાનું કહેવાય છે.
અહેવાલ મુજબ, આ ખરીદી મુખ્યમંત્રીની પત્ની, ભાઈઓ, ભત્રીજાઓ અને અન્ય પરિવારજનોના નામે તેમજ કૌટુંબિક રિયલ એસ્ટેટ કંપનીઓ મારફતે કરવામાં આવી છે. અગાઉની ખરીદીઓને જોડતા પરિવાર પાસે કુલ 335 એકર વિસ્તારમાં 245 જેટલા પ્લોટ હોવાનું પણ જણાવાયું છે.
કોંગ્રેસે આ મામલે મુખ્યમંત્રી પર હિતોના સંઘર્ષનો આરોપ મૂક્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ભાજપની ‘ડબલ એન્જિન’ સરકાર પર નિશાન સાધતા તેને ‘લૂંટનું એન્જિન’ ગણાવ્યું છે. વિપક્ષનો દાવો છે કે સત્તામાં આવ્યા બાદ કૌટુંબિક જમીનોના વિકાસને ગતિ મળી અને માસ્ટર પ્લાન હેઠળ જમીન ઉપયોગમાં ફેરફાર માટે વહીવટી તંત્ર પર દબાણ કરવામાં આવ્યું.
બીજી તરફ, મુખ્યમંત્રીના ભત્રીજા અનંત યાદવે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે પરિવાર વર્ષોથી કાયદેસર રીતે રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે સંકળાયેલો છે અને ખાનગી નાગરિક તરીકે જમીન ખરીદ-વેચ કરવાનો તેમને અધિકાર છે. તેમણે આ વ્યવસાયને મુખ્યમંત્રીના પદ સાથે જોડવાના પ્રયાસોને ખોટા ગણાવ્યા છે.
આ મામલે મુખ્યમંત્રી કાર્યાલય અને ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર વિગતવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, જેના કારણે રાજકીય ચર્ચા વધુ તેજ બની છે.















Leave a Reply