અમદાવાદ: ચોમાસાની મોસમ દરમિયાન શહેરમાં માર્ગ સલામતી વધારવા અને વાહનચાલકોને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદી દિવસોમાં માર્ગ મરામત, ડાયવર્ઝન અને અકસ્માતની સંભાવના ધરાવતા વિસ્તારોમાં હવે ટ્રાફિક માર્શલ તહેનાત કરવામાં આવશે.
AMCએ આ પહેલની પ્રાયોગિક શરૂઆત શહેરના વ્યસ્ત ગણાતા પંચવટી અને પાંજરાપોળ વિસ્તારોમાંથી કરી છે. હાલમાં અહીં ચાલી રહેલી માર્ગ મરામતની કામગીરી દરમિયાન કુલ ચાર ટ્રાફિક માર્શલને ફરજ પર મૂકવામાં આવ્યા છે. તેઓ વાહનચાલકોને ડાયવર્ઝન અંગે અગાઉથી જાણ કરી માર્ગદર્શન આપશે, જેથી ટ્રાફિક જામ અને અકસ્માતની શક્યતાઓ ઘટાડી શકાય.
મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબ ટ્રાફિક માર્શલ તૈનાત કરવામાં આવશે. ખાસ કરીને જ્યાં માર્ગ મરામત, ખોદકામ અથવા અન્ય વિકાસકાર્યો ચાલી રહ્યા હોય અને વાહનચાલકો માટે જોખમ ઊભું થતું હોય તેવા સ્થળોને પ્રાથમિકતા આપવામાં આવશે.
AMCની આ પહેલનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવાનો અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. શહેરમાં ચાલી રહેલા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વચ્ચે વાહનવ્યવહાર વધુ સુવ્યવસ્થિત રહે અને લોકોને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે આ વ્યવસ્થા અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.














Leave a Reply