પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. પાર્ટીના કેટલાક સાંસદોએ બળવો કરતાં અલગ જૂથ બનાવ્યું છે, જેના કારણે મમતા બેનરજીની રાજકીય મુશ્કેલીઓમાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે.
મળતી માહિતી અનુસાર, લોકસભામાં TMCના અનેક સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળીને સંસદમાં અલગ બેઠક વ્યવસ્થાની માંગ કરી છે. આ સાથે જ બળવાખોર જૂથે ત્રિપુરાની એક નાની રાજકીય પાર્ટી સાથે વિલીનીકરણની દિશામાં પણ પગલાં ભર્યા હોવાનું જણાવાયું છે.
સુદીપ બંદોપાધ્યાય બળવાખોર જૂથમાં જોડાયા
એક સમયે મમતા બેનરજીના નજીકના સહયોગી અને લોકસભામાં TMCના સંસદીય દળના નેતા રહેલા સુદીપ બંદોપાધ્યાય પણ હવે બળવાખોર જૂથમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ત્રિપુરાની પાર્ટી સાથેનું વિલીનીકરણ માત્ર કામચલાઉ વ્યવસ્થા છે અને આગામી સમયમાં વધુ મોટા રાજકીય નિર્ણયો લેવામાં આવશે.
પાર્ટીના નામ અને પ્રતીક પર દાવાની તૈયારી
બળવાખોર જૂથનો દાવો છે કે તેમને લોકસભામાં TMCના 28માંથી 20 સાંસદોનું સમર્થન પ્રાપ્ત છે. આ આધાર પર જૂથ આગામી સમયમાં ચૂંટણી પંચ અને કોર્ટ સમક્ષ અરજી કરીને પોતાને જ અસલી તૃણમૂલ કોંગ્રેસ તરીકે માન્યતા આપવા તેમજ પાર્ટીના નામ અને ચૂંટણી પ્રતીક પર અધિકાર આપવાની માંગ કરી શકે છે.
NCPI સાથે વિલીનીકરણનો નિર્ણય
બળવાખોર સાંસદોની આગેવાની કરી રહેલા કાકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું કે 20 સાંસદોએ અલગ જૂથ તરીકે માન્યતા આપવા માટે લોકસભા અધ્યક્ષને આવેદનપત્ર સોંપ્યું છે. આ સાંસદો ત્રિપુરાની નોંધાયેલી પાર્ટી ‘નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા’ (NCPI) સાથે વિલીનીકરણ કરશે અને કેન્દ્રની NDA સરકારને સમર્થન આપશે.
NDAને મળી શકે મોટો ફાયદો
જો TMCના બળવાખોર સાંસદો સત્તાવાર રીતે NDA સાથે જોડાય છે, તો તેઓ ભાજપના સૌથી મોટા સહયોગી જૂથોમાં સામેલ થઈ શકે છે. હાલમાં NDAમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના 16 અને જનતા દળ (યુનાઇટેડ)ના 12 સાંસદો મુખ્ય સહયોગી તરીકે છે. 20 સાંસદોના વધારાના સમર્થનથી લોકસભામાં NDAની સંખ્યા વધુ મજબૂત બની શકે છે.
ભાજપના નેતાઓએ પણ આ સંભવિત સમર્થનનું સ્વાગત કરતાં જણાવ્યું છે કે, જો TMCના સાંસદો દેશહિતમાં NDAને ટેકો આપવા ઇચ્છે છે, તો તે આવકારદાયક નિર્ણય ગણાશે.














Leave a Reply