કોલકાતા : પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ કોલકાતાની એક સરકારી ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં અંદાજે 4,000 ઇવીએમ (EVM) મશીનો બળી જતાં ખાક થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઇવીએમ મશીનો અગાઉની ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા અને બિલ્ડિંગના આઠમા તથા નવમા માળે સંગ્રહિત કરવામાં આવ્યા હતા.
માહિતી અનુસાર સવારે લગભગ 9:50 વાગ્યે 10 માળની જિલ્લા પરિષદની ઇમારતમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
ફાયર અને ઇમર્જન્સી સર્વિસ મંત્રી કૌશિક ચૌધરીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આગની શરૂઆત ત્રીજા અથવા ચોથા માળેથી થઈ હોવાનું જણાઈ રહ્યું છે. જોકે આગ સીધી આઠમા અને નવમા માળ સુધી કેવી રીતે પહોંચી ગઈ, જ્યારે વચ્ચેના છઠ્ઠા અને સાતમા માળ પર આગની ખાસ અસર જોવા મળી નથી, તે બાબત તપાસનો વિષય બની છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઇમારતમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કચેરીઓ ઉપરાંત ધરપકડ કરાયેલા ટીએમસી નેતા જહાંગીર ખાનની ઓફિસ પણ આવેલી છે. જિલ્લા પરિષદનું સંચાલન તૃણમૂલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. આગની ઘટના જે જિલ્લા પરિષદમાં બની તે ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલી છે, જે વિસ્તાર ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જીનો રાજકીય ગઢ માનવામાં આવે છે.
મંત્રીના જણાવ્યા અનુસાર આગમાં નાશ પામેલા લગભગ 4,000 ઇવીએમ મશીનોનો ઉપયોગ અગાઉ યોજાયેલી વિધાનસભાની આશરે 10 બેઠકોના મતદાન માટે કરવામાં આવ્યો હતો. આગના કારણે આ તમામ મશીનો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે.















Leave a Reply