અમદાવાદ: ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં આજે (15 જૂન) ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી ભવ્ય ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આ રેલીમાં જોડાશે.
કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, સરકાર ખેડૂતોને “જગતનો તાત” ગણાવે છે, પરંતુ તેની નીતિઓના કારણે ખેડૂતો સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આયોજનના અભાવ અને ખેડૂત વિરોધી નિર્ણયો ખેડૂતોને આર્થિક રીતે પીડિત બનાવી રહ્યા છે. સાથે જ સરકારના મંત્રીઓ, કલેક્ટરો અને પોલીસ અધિકારીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં બળજબરીપૂર્વક કંપનીઓની લાઈનો નાખવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત નેજા હેઠળ યોજાનારી ‘ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી’ સવારે 11 વાગ્યે શાંતિપુરા સર્કલથી પ્રસ્થાન કરશે. ત્યારબાદ ટ્રેક્ટર માર્ચ ગાંધીનગર તરફ આગળ વધશે, જ્યાં 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતો એકત્રિત થઈ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરશે.
આ રેલીના આયોજન અને સંકલનમાં એ.આઈ.સી.સી. સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો મહત્વની ભૂમિકા ભજવશે.
ખેડૂત અધિકાર રેલીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા તેમજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિતના વરિષ્ઠ નેતાઓ સંબોધિત કરશે.














Leave a Reply