અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાંથી વધુ એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. શુક્રવારે સવારે નદીના પટમાંથી આશરે 35થી 40 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
સાબરમતી નદીમાંથી મળ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ
પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યે સરદાર બ્રિજ અને આંબેડકર બ્રિજ વચ્ચેના સાબરમતી નદીના પટમાં એક પુરુષનો મૃતદેહ તરતો હોવાની માહિતી મળી હતી. જાણ થતાં જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
શરીર પર ઈજાના કોઈ નિશાન મળ્યા નહીં
પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના શરીર પર કોઈ દેખીતી ઈજા કે હુમલાના નિશાન જોવા મળ્યા નથી. હાલ કોઈ શંકાસ્પદ પરિસ્થિતિ સામે ન આવતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહને ઓળખ માટે સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. પોલીસ હાલમાં અમદાવાદ શહેર તેમજ આસપાસના જિલ્લાઓમાં નોંધાયેલા ગુમ થયેલા વ્યક્તિઓના રેકોર્ડની તપાસ કરી રહી છે.
રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈને મૃતક અંગે અથવા આ ઘટના સંબંધિત કોઈ માહિતી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે, જેથી મૃતકની ઓળખ કરી તેના પરિવારજનો સુધી પહોંચવામાં મદદ મળી શકે.












Leave a Reply