નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલા સરકારી કાર્યક્રમમાં પ્રોટોકોલના ભંગનો આક્ષેપ કરીને ધરણા પર બેઠેલા નાંદોદના ભાજપના ધારાસભ્ય ડો. દર્શનાબહેન દેશમુખે હાલ પૂરતા પોતાના ધરણા સમેટી લીધા છે. જોકે, આ સમગ્ર ઘટનાને લઈને જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ધારાસભ્યના સમર્થનમાં સમસ્ત આદિવાસી સમાજ પણ ખુલ્લેઆમ મેદાનમાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે 15 જૂને રાજપીપળામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પ્રોટોકોલનું પાલન ન થતાં અને પોતાનું અપમાન થયાનો આક્ષેપ કરીને ડો. દર્શનાબહેન દેશમુખ કાર્યક્રમમાંથી વોકઆઉટ કરી નીકળી ગયા હતા. બાદમાં તેઓ ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી ગયા હતા અને સંગઠન તેમજ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
ધરણાના સમાચાર પ્રસરી જતા આદિવાસી સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી. સમાજના પ્રમુખો, ઉપપ્રમુખો અને આગેવાનો મોટી સંખ્યામાં ધારાસભ્યના કાર્યાલયે પહોંચ્યા હતા અને તેમને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. સમાજના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો ધારાસભ્યને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, પ્રોટોકોલ વિવાદ મામલે પ્રદેશ કક્ષાએ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડો. દર્શનાબહેન દેશમુખ જે પણ નિર્ણય લેશે તેમાં સમગ્ર આદિવાસી સમાજ તેમની સાથે રહેશે.
સમાજના સમર્થન બદલ આભાર વ્યક્ત કરતા ડો. દર્શનાબહેન દેશમુખે જણાવ્યું હતું કે, ન્યાય મેળવવા માટે ભવિષ્યમાં સમાજ કોઈ આંદોલન કરશે તો તેઓ પણ તેમાં સક્રિય રીતે જોડાશે.
ધરણા ભલે સમાપ્ત થયા હોય, પરંતુ આ ઘટનાએ નર્મદા જિલ્લામાં ભાજપના આંતરિક મતભેદો અને પ્રોટોકોલના મુદ્દાને લઈને નવી ચર્ચા જગાવી છે.












Leave a Reply