શ્રીનગર: અલી ખામેનેઇના અવસાનના સમાચાર બાદ વિશ્વભરના શિયા મુસ્લિમોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, જેના પ્રતિસાદ રૂપે ભારતમાં પણ વિવિધ સ્થળોએ પ્રતિક્રિયા જોવા મળી છે. કાશ્મીરથી કર્ણાટક સુધી અનેક શહેરોમાં શિયા સમુદાય દ્વારા ધરણા અને પ્રદર્શન યોજાયા હતા. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પણ લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા.
કાશ્મીરમાં અંદાજે 15 લાખથી વધુ શિયા મુસ્લિમો વસે છે. અહીં લાલ ચોક, સૈદા કાદલ, બડગામ, બંદીપોરા, અનંતનાગ અને પુલવામા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. કેટલાક સ્થળોએ લોકો છાતી પિટતા અને અમેરિકા વિરોધી નારા લગાવતા નજરે પડ્યા હતા. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ પણ ખામેનેઇના અવસાન પર શોક વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. દેશના અન્ય ભાગોમાં પણ મુસ્લિમ સંસ્થાઓ દ્વારા વિવિધ શ્રદ્ધાંજલિ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે.
ઓલ ઇન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના યાકૂબ અબ્બાસે જણાવ્યું હતું કે સોમવારે વિરોધ પ્રદર્શન યોજાશે અને ડોનાલ્ડ ટ્રમ્પ તથા બેન્જામીન નેતન્યાહુના પુતળા દહન કરવામાં આવશે. સમગ્ર દેશમાં શિયા સમુદાય દ્વારા ત્રણ દિવસનો શોક પાળવાની જાહેરાત કરવામાં આવી છે.
પંજાબના લુધિયાણામાં પણ વિરોધ પ્રદર્શન સાથે પુતળા દહન કરવામાં આવ્યા હતા. કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લામાં મૌન પાળી લોકો દ્વારા દુકાનો અને શોપિંગ સેન્ટરો બંધ રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 1986માં ખામેનેઇએ ચિક્કાબલ્લાપુર જિલ્લાના અલીપુરા વિસ્તારમાં મુલાકાત લીધી હતી અને શિયા સમુદાય માટેની કેટલીક ઇમારતોનું ઉદ્ઘાટન કર્યું હતું.






Leave a Reply