વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે Indian Premier League 2026ની મેચોની શરૂઆત થવા જઈ રહી છે. મેચ દરમિયાન હજારો દર્શકો, VVIP મહેમાનો અને ખેલાડીઓની સુરક્ષા સાથે સાથે ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, મેચના દિવસોમાં સ્ટેડિયમ આસપાસના કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ રહેશે.
કઈ તારીખે નિયમો લાગુ પડશે?
અમદાવાદમાં યોજાનારી કુલ 7 મેચોને ધ્યાનમાં રાખીને એપ્રિલ મહિનાની 4, 17, 20, 26 અને 30 તારીખ તેમજ મે મહિનાની 3 અને 12 તારીખે આ ટ્રાફિક નિયંત્રણ અમલમાં રહેશે.
પ્રતિબંધિત માર્ગો
મેચના દિવસે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વાર સુધી અને કૃપા રેસીડેન્સી ટીથી મોટેરા ગામ ટી સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા
ટ્રાફિકને સરળ બનાવવા માટે પોલીસે નીચે મુજબના વિકલ્પ માર્ગ સૂચવ્યા છે:
- તપોવન સર્કલ તરફથી આવતા વાહનો ઓ.એન.જી.સી. ચાર રસ્તા, વિસત ટી, જનપથ ટી અને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ તરફ જઈ શકશે.
- કૃપા રેસીડેન્સી તરફથી આવતા વાહનો શરણ સ્ટેટસ ચાર રસ્તા, ભાટ-કોટેશ્વર રોડ અને એપોલો સર્કલ માર્ગનો ઉપયોગ કરી શકશે.
કોણને છૂટછાટ મળશે?
મેચ સાથે જોડાયેલા અધિકૃત વાહનો, ફરજ પરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ તેમજ સ્ટેડિયમ આસપાસના રહીશો માટે આ પ્રતિબંધ લાગુ નહીં પડે. રહીશોને ઓળખ પુરાવા સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે.
ક્રિકેટપ્રેમીઓ અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેરનામાનું પાલન કરે જેથી ટ્રાફિક સમસ્યાઓ અને અનિચ્છનીય ઘટનાઓથી બચી શકાય.













Leave a Reply