અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા પકવાન ઓવર બ્રિજ પર 27 માર્ચે થયેલા ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 47 વર્ષીય વ્યક્તિનું આજે (3 એપ્રિલ) સારવાર દરમિયાન અવસાન થયું છે. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ઘટનામાં સંડોવાયેલા કારચાલકની ધરપકડ કરી છે.
શું બન્યું હતું?
માહિતી મુજબ, નરોડા વિસ્તારના રહેવાસી કમલેશભાઈ પાણખાણિયા 27 માર્ચે પકવાન ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે થલતેજથી સરખેજ તરફ ઝડપથી આવી રહેલી કારએ તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક કારના આગળના ભાગમાં ફસાઈ ગયું હતું. ઘટનાના વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કારચાલકે ગાડી રોકવાના બદલે બાઈક ફસાયેલું હોવા છતાં કાર હંકારીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
સારવાર દરમિયાન મોત
આ અકસ્માતમાં કમલેશભાઈને છાતી, માથું, કમર અને કપાળમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં છેલ્લા સાત દિવસથી સારવાર હેઠળ રહ્યા બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા.
આરોપીની ધરપકડ
પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરીને 31 વર્ષીય આરોપી રોહન રશ્મિકાંત પટેલને ઝડપી લીધો છે. આરોપી થલતેજના સૂરધારા સર્કલ નજીક મણિચંદ્ર સોસાયટીનો રહેવાસી છે અને ધાતુના વેપાર સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે.













Leave a Reply