સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગના નિયમો મુજબ દરેક જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવે છે, જ્યાં નાગરિકો ચૂંટણી સંબંધિત ફરિયાદો નોંધાવી શકે. પરંતુ આ વખતે પરિસ્થિતિ થોડું અલગ જોવા મળી રહી છે. ગેસ સિલિન્ડરની અછત વચ્ચે લોકો ચૂંટણી કંટ્રોલ રૂમમાં જ બાટલા સંબંધિત ફરિયાદો અને પૂછપરછ કરવા લાગ્યા છે.
કંટ્રોલ રૂમ હવે ફરિયાદ રૂમ બન્યો
ચૂંટણીઓ જાહેર થતા જ જિલ્લા તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે અને આચાર સંહિતાનું પાલન સુનિશ્ચિત કરવા માટે વિવિધ ટીમો કાર્યરત છે. સાથે સાથે ચૂંટણી સંબંધિત ફરિયાદો માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. છતાં, આ કંટ્રોલ રૂમમાં આચાર સંહિતા ભંગ અથવા અન્ય ચૂંટણી મુદ્દાઓને બદલે એલપીજી ગેસ સિલિન્ડર સંબંધિત પ્રશ્નો વધારે આવવા લાગ્યા છે. રોજ આવતાં કુલ કોલ્સમાં બે-ત્રણ કોલ્સ ખાસ ગેસ સિલિન્ડર વિશે હોય છે.
લોકો પૂછે છે—બાટલો ક્યાંથી મળશે? નવો બાટલો લેવા માટે ક્યાં જવું? બુકિંગ કર્યા પછી પણ ડિલિવરી કેમ મળતી નથી? બુકિંગ ક્યારે કરવું અને કેટલા દિવસમાં મળે? આવા પ્રશ્નો સતત આવી રહ્યા છે. બીજી તરફ, ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી તૈયારીમાં વ્યસ્ત હોવાથી સામાન્ય લોકોના પ્રશ્નો સાંભળવા માટે કોઈ ઉપલબ્ધ નથી. પરિણામે, લોકો પોતાના પ્રશ્નોના ઉકેલ માટે આવા વિકલ્પો અપનાવી રહ્યા છે.
આ પરિસ્થિતિ તંત્ર માટે પણ પડકારરૂપ બની છે, કારણ કે એક તરફ ટૂંકા સમયમાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવાની છે અને બીજી તરફ નાગરિકોની રોજિંદી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પણ દબાણ છે.













Leave a Reply