સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી છે. એ વચ્ચે રાજ્ય ચૂંટણી આયોગના એક નવા નિર્ણયને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી આયોગે એવો પરિપત્ર જાહેર કર્યો છે કે જેમાં રાજકીય પક્ષોને ચૂંટણી, મતદાન અને મતગણતરી એજન્ટ તરીકે ગુનાઈત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને પણ નિયુક્ત કરવાની છૂટ આપવામાં આવી છે. અગાઉ આવી નિમણૂક માટે ‘ગુનેગાર ન હોવો જોઈએ’ જેવી મહત્વપૂર્ણ શરત હતી, જેને હવે હટાવી દેવામાં આવી છે.
તા. 23 એપ્રિલે જાહેર કરાયેલા આ પરિપત્ર મુજબ, રાજકીય પક્ષો પોતાના કાર્યકરોને ચૂંટણી એજન્ટ, મતદાન એજન્ટ અને મતગણતરી એજન્ટ તરીકે નિમણૂક કરી શકે છે અને તેને ચૂંટણી પંચ દ્વારા માન્યતા આપવામાં આવશે. શરૂઆતની માર્ગદર્શિકાઓ સામાન્ય હોવા છતાં પરિપત્રના અંતિમ ભાગે સૌથી મોટો વિવાદ ઉભો કર્યો છે.
અંતિમ ફકરામાં પહેલાં ઉલ્લેખિત ‘એજન્ટ સામે કોઈ ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ’ જેવી જોગવાઈને રદ કરવામાં આવી છે. આ ફેરફારને કારણે હવે ગુનાઈત ઇતિહાસ ધરાવતા લોકોને પણ ચૂંટણી પ્રક્રિયામાં એજન્ટ તરીકે બેસાડવાની શક્યતા ઊભી થઈ છે.
આ નિર્ણયને કારણે ચૂંટણીની નિષ્પક્ષતા અને પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. મતદાન મથક પર જો ગુનેગારો એજન્ટ તરીકે હાજર રહેશે, તો મતદારોમાં ભયનું વાતાવરણ સર્જાઈ શકે છે અને તેઓ નિર્ભયપણે મતદાન કરી શકશે કે નહીં, તે એક મોટો સવાલ બની રહ્યો છે.















Leave a Reply