જામનગર અને ખંભાળિયા વિસ્તારમાં ચાલી રહેલી મહાનગરપાલિકા ચૂંટણી દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. વોર્ડ નંબર-૩માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હૃદયરોગના અચાનક હુમલાથી અવસાન થયું છે.
માહિતી મુજબ, આજે બપોરે આશરે ચાર વાગ્યાના સમયે તેઓ પોતાના નિવાસસ્થાને હાજર હતા, ત્યારે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલિક તેમને એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અચાનક બનેલી ઘટનાથી પરિવાર તેમજ રાજકીય વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ બનાવ અંગે જામનગર જિલ્લા કલેક્ટરે રાજ્ય ચૂંટણી પંચ સાથે સંપર્ક સાધ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી મતગણતરીની કાર્યવાહી નિયમ મુજબ યથાવત રહેશે.
આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના કેશોદ ગામમાં પણ શોકની લાગણી ફેલાઈ છે. અહીં આહિર સમાજના અગ્રણી કશ્યપભાઈ આહીરના પિતાશ્રી લખમણભાઈ કાળુભાઈ ડેર (વય 84)નું આજે સવારે હાર્ટ એટેકથી અવસાન થયું છે. તેઓ ગામમાં સામાજિક રીતે સક્રિય વ્યક્તિ તરીકે ઓળખાતા હતા.












Leave a Reply