છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ઈંધણ સંકટને કારણે સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી 210થી વધુ ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
નસવાડી અને આસપાસના વિસ્તારોમાં આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ અને નાયરા જેવા પેટ્રોલ પંપો પર ‘પેટ્રોલ-ડીઝલ ઉપલબ્ધ નથી’ એવા બોર્ડ લગાવવામાં આવ્યા છે. રોજિંદા કામકાજ માટે ટાઉનમાં આવતા ગામલોકો તેમજ મધ્ય પ્રદેશ તરફ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે કેટલાક લોકો મોંઘા ભાવે કાળા બજારમાંથી પેટ્રોલ ખરીદવા મજબૂર બન્યા છે.
પેટ્રોલ પંપ સંચાલકોનું કહેવું છે કે છેલ્લા બે દિવસથી કંપનીઓ તરફથી પૂરતો જથ્થો મળતો નથી. બીજી તરફ, સ્થાનિકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ચૂંટણી બાદ સંભવિત ભાવવધારાને કારણે જથ્થો રોકવામાં આવ્યો હોઈ શકે છે.
ડીઝલની અછતને કારણે માત્ર ખાનગી વાહનો જ નહીં પરંતુ બાંધકામ સાઇટો, રેતી-કપચી વાહનવ્યવહાર અને અન્ય કોમર્શિયલ પ્રવૃત્તિઓ પણ અસરગ્રસ્ત બની છે. વાહન વ્યવહાર લગભગ ઠપ થઈ ગયો છે.
એક તરફ સરકાર પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરે છે, જ્યારે બીજી તરફ પંપો પર ખાલીપો જોવા મળે છે. સ્થાનિકોએ જિલ્લા પુરવઠા અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરીને ઈંધણ પુરવઠો ફરી શરૂ કરવાની માંગ કરી છે.














Leave a Reply