નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના ખર્ચને લઈને ચૂંટણી પંચ વધુ સાવચેત બન્યું છે. મુખ્યમંત્રી મમતા બેનરજીની ભવાનીપુર સહિત કુલ ૫૫ બેઠકોને ‘ખર્ચ સંવેદનશીલ’ તરીકે જાહેર કરવામાં આવી છે. પંચને આશંકા છે કે આ વિસ્તારોમાં ઉમેદવારો દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ખર્ચ થવાની શક્યતા છે. તેથી ખર્ચ પર નજર રાખવા માટે આશરે ૧૦૦ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે એક જ રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવાનું આ પ્રથમ જ ઉદાહરણ છે.
ચૂંટણી પંચના સૂત્રો અનુસાર પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર રોકડ, દારૂ, મફતમાં વહેંચાતી વસ્તુઓ અને માદક પદાર્થોની હેરાફેરીમાં વધારો થયો છે. આ મામલે તમિલનાડુ પછી બંગાળ બીજા ક્રમે આવે છે. પાંચેય ચૂંટણીવાળા રાજ્યોમાં અત્યાર સુધી કુલ મળી ૧,૨૮૧ કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમાં ૧૦૫ કરોડ રૂપિયાનાં કિંમતી ઝવેરાત અને ૧૭૮ કરોડ રૂપિયાનું એવું સામાન સામેલ છે, જે મતદારોને લોભાવવા માટે વહેંચવાનો હતો. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં જ ૧૭ એપ્રિલ સુધીમાં અંદાજે ૪૩૦ કરોડ રૂપિયાની ગેરકાયદેસર સામગ્રી ઝડપાઈ છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ૫૫ બેઠકોને સંવેદનશીલ જાહેર કરી છે. જો યોગ્ય દેખરેખ ન રાખવામાં આવે તો મતદારોને પ્રભાવિત કરવા ગેરરીતિઓનો ઉપયોગ થવાની શક્યતા છે. આ યાદીમાં ૨૪ ઉત્તર પરગણા, માલદા, મુર્શિદાબાદ અને ઉત્તર દિનાજપુર જેવા સીમાંત વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાંથી મોટા પ્રમાણમાં રોકડ અને અન્ય ગેરકાયદેસર સામગ્રી જપ્ત થઈ છે.
આ ઉપરાંત બંગાળની સરહદ નજીક આવેલી આઠ બેઠકો—વિધાનનગર, રાજરહાટ-ન્યુટાઉન, બારાસાત, મધ્યમગ્રામ, ભાટપારા, ગંધાતા અને ઉત્તર બશીરહાટ—ને પણ સંવેદનશીલ ગણવામાં આવી છે. કોલકાતાની સાત બેઠકો પણ આ કેટેગરીમાં મુકાઈ છે, જેમાં ઉત્તર કોલકાતાની ત્રણ અને દક્ષિણ કોલકાતાની ચાર બેઠકોનો સમાવેશ થાય છે. તેમાં ભવાનીપુર બેઠક ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભવાનીપુર બેઠક હાઇપ્રોફાઇલ હોવાથી અહીં રાજકીય મુકાબલો રસપ્રદ બનવાનો છે. મુખ્યમંત્રી મમતા બેનરજી સામે વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી પડકાર ઊભો કરશે. અગાઉ નંદીગ્રામમાં શુભેન્દુએ મમતાને પરાજિત કર્યા હતા, ત્યારબાદ મમતા બેનરજીએ ભવાનીપુરની પેટાચૂંટણી જીતીને ફરીથી રાજકીય વાપસી કરી હતી.















Leave a Reply