ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં સેમિફાઇનલ માનાતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલે સામાન્ય છૂટક બનાવોને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. રાજ્યભરમાં મતદારોનો મધ્યમ પ્રતિસાદ રહ્યો અને દિવસના અંતે સરેરાશ 57.08% જેટલું મતદાન નોંધાયું. સવારે મતદાનની ગતિ ધીમી રહી હતી, જ્યારે ગરમીના કારણે બપોરે 12થી 4 દરમિયાન મતદાન મથકો પર ઓછી ભીડ જોવા મળી. જોકે, સાંજ બાદ મતદારોમાં ઉત્સાહ વધતા અંતિમ કલાકોમાં નોંધપાત્ર હાજરી નોંધાઈ.
વિભાગવાર જોવામાં આવે તો 15 મહાનગરપાલિકાઓમાં અંદાજે 49% મતદાન થયું, જ્યારે 84 નગરપાલિકાઓમાં 59% મતદાન નોંધાયું. ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ઉત્સાહ જોવા મળતા 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોમાં લગભગ 61% જેટલું સર્વોચ્ચ મતદાન થયું. અંતિમ સત્તાવાર ટકાવારી રાત્રે જાહેર થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી.
મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતદાન મથકો પર ઈવીએમ મશીનોને નિયમ મુજબ સીલ કરવામાં આવ્યા અને પ્રિસાઇડિંગ ઓફિસરો દ્વારા જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. ત્યારબાદ કડક સુરક્ષા વચ્ચે ઈવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમ અને કલેકશન સેન્ટરો સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પોલીસ અને સુરક્ષા દળોની ચુસ્ત વ્યવસ્થા હેઠળ સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પડી અને કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નહીં. રાજ્યની અંદાજે 10 હજાર બેઠકો માટે મેદાનમાં રહેલા 25 હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય હવે ઈવીએમમાં બંધાઈ ગયું છે.
હવે સૌની નજર 28 એપ્રિલ પર છે, જ્યારે મતગણતરી થશે અને પરિણામો જાહેર થશે. સ્થાનિક મુદ્દાઓ અને વિકાસના પ્રશ્નો પર મતદાતાઓએ કોને પસંદ કર્યું છે, તે જાણવા માટે રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.












Leave a Reply