પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 142 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. આ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. અનેક સ્થળોએ તણાવ અને અથડામણની ઘટનાઓ સામે આવી હતી, જેમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જગતદલ ખાતે યોજાનારી રેલી પહેલા જ વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. રાત્રિના સમયે બેનર લગાવી રહેલા ટીએમસી કાર્યકર બિટ્ટુ મહતો પર હુમલો થયાનો આરોપ મૂકાયો હતો. આ મામલે ફરિયાદ કરવા ટીએમસીના કાર્યકરો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં ભાજપના પૂર્વ સાંસદ અર્જુન સિંહ પણ હાજર થતા બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉપરાંત ભાજપના એક નેતાના ઘરના બહાર ફાયરિંગ થયાની ફરિયાદ પણ નોંધાઈ હતી, જેમાં સુરક્ષા માટે તૈનાત સીઆરપીએફના એક જવાનને ઈજા પહોંચી હતી.
આ દરમિયાન ટીએમસીની દલિત મહિલા સાંસદ મિતાલી બાગ પર પણ હુમલાનો બનાવ સામે આવ્યો હતો. તેઓ અભિષેક બેનર્જીની રેલીમાં હાજરી આપવા જતા હતા ત્યારે રસ્તામાં તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ટીએમસીએ આ હુમલાને ભાજપ સાથે જોડ્યો, જ્યારે ભાજપે આ આરોપોને નકારતા તેને રાજકીય નાટક ગણાવ્યું હતું.
આવી ઘટનાઓ વચ્ચે બીજા તબક્કાનો પ્રચાર પૂર્ણ થયો છે. આ તબક્કામાં ભવાનીપુર બેઠક ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. કુલ 3.21 કરોડથી વધુ મતદારો 41,001 મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
મતદાન શાંતિપૂર્ણ રહે તે માટે રાજ્યમાં કેન્દ્રીય દળોની 2321 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ 273 કંપનીઓ કોલકાત્તામાં મૂકવામાં આવી છે. ચૂંટણી દરમિયાન થયેલી હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જાહેરાત કરી છે કે મતદાન પૂર્ણ થયા બાદ પણ 60 દિવસ સુધી કેન્દ્રીય દળો રાજ્યમાં જ રહેશે.














Leave a Reply