પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટેના તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ હિંસાની ઘટનાઓ સામે આવી હતી, પરંતુ કોઈ મોટી અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. કેન્દ્રીય દળોની કડક દેખરેખ તેમજ 142 સામાન્ય નિરીક્ષકો અને 95 પોલીસ નિરીક્ષકોની તહેનાતીના કારણે પરિસ્થિતિ મોટાભાગે નિયંત્રણમાં રહી હોવાનું માનવામાં આવે છે.
આ દરમિયાન રાજ્યની રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી વચ્ચે શબ્દયુદ્ધ તેજ બન્યું છે. ભવાનીપુરમાં મતદાન કર્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું કે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહી છે અને CRPF દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પર તેમણે આક્ષેપ કર્યો કે તેઓ આ રીતે લોકોને હેરાન કરી શકતા નથી. મતદાન બાદ તેમણે વિજયનું નિશાન પણ દર્શાવ્યું.
મમતાએ વધુમાં આરોપ લગાવ્યો કે કેન્દ્રીય દળો અને નિરીક્ષકો લોકો પર દબાણ બનાવી રહ્યા છે, જેમાં મહિલાઓ અને બાળકો પણ બચ્યા નથી. તેમણે આ પરિસ્થિતિને લોકતંત્ર માટે ચિંતાજનક ગણાવી અને કહ્યું કે તેમણે પોતાની લાંબી રાજકીય કારકિર્દીમાં આવી સ્થિતિ ક્યારેય જોઈ નથી.
તેમણે એ પણ કહ્યું કે CRPFનું કામ સરહદોની સુરક્ષા કરવાનો છે, પરંતુ અહીં તેઓ રાજકીય હિતોમાં કામ કરી રહ્યા છે. રાણાઘાટ, કલ્યાણી, આરામબાગ, ઘોઘાટ અને કેનિંગ જેવા વિસ્તારોમાં એજન્ટોને હટાવવાના પણ આક્ષેપ કર્યા.
બીજી તરફ, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો કે કેન્દ્રીય દળોને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી છે. તેમણે TMC પર હોબાળો મચાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે હવે લોકો સતર્ક થઈ રહ્યા છે.















Leave a Reply